અમદાવાદ ના ઉસ્માનપુરામાં પંચશીલ સોસાયટી માં આવેલ એક બંધ બંગલામાંથી રોકડા રૂ.20 લાખની ચોરી કરી તસ્કરો ભાગી છૂટ્યા હતા. વેપારી પોતાના પરિવારના સભ્યો સાથે તહેવારો ઉજવવા માટે દિલ્હી ગયા હતા. આ પાંચ દિવસ દરમિયાન બંગલાના પાછળના ભાગમાં આવેલા બેડરૂમની બારી ખોલી દીવાલથી અલગ કરીને ચોર બંગલામાં ઘૂસી આવ્યા હતા.
ઉસ્માનપુરામાં પંચશીલ સોસાયટીમાં સંયુક્ત પરિવારમાં રહેતા અને અમદાવાદ-મહેસાણા હાઈવે ઉપર મિલ્ટન્ટ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીમાં ડિરેક્ટર ભૌમિક અભયકુમાર જૈન (ઉં. 28) 23મી ઓગસ્ટે પત્ની-દાદી સહિત પરિવારના સભ્યો સાથે રક્ષાબંધન સહિત ના હાલ ચાલી રહેલા તહેવાર ઊજવવા માટે ફોઈના ઘરે દિલ્હી ગયા હતા તે દરમિયાન તા.27 ઓગસ્ટે સવારે 7.30 વાગ્યે બંગલામાં સફાઈ કામ કરવા આવેલા શાંતિલાલભાઈએ ભૌમિકના પિતાને બંગલામાં ચોરી થઈ હોવા અંગે ફોન કરી જાણ કરતા પરિવાર ગભરાઈ ગયો હતો અને ભૌમિક ભાઈ તાત્કાલિક અમદાવાદ પહોંચી તપાસ કરતા કબાટમાં ભૌમિકનાં માતા અને દાદીએ મૂકેલા 15 લાખ અને બીજા બેડરૂમના કબાટમાંથી ભૌમિકનાં પત્નીના 5 લાખની ચોરી થઈ હોવાનું જણાયું હતું. આ અંગે ભૌમિકભાઈએ વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
