અમદાવાદમાં બ્રાન્ડેડ કંપની ના નકલી ઘી બનાવવાનો પર્દાફાશ થયો છે ,ચાંગોદરની ફેક્ટરીમાં નકલી ઘી બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે અને 500 ગ્રામ ઘી માત્ર રૂ. 55માં વેચતા શૈલેષ સોલંકી ની ધરપકડ કરવામાં આવી હતી. જોકે, હજારો લીટર નકલી ઘી લોકો ખાઈ ગયા હોવાની વાત સામે આવી છે.
પોલીસને અમૂલ તથા સાગર જેવી બ્રાન્ડના 500 ગ્રામના પાઉચ કબ્જે કરી છે.
નકલી ઘીના 215 પાઉચ, તેલ, ઘી, પેકિંગ મશીન સહિતની સામગ્રી જપ્ત કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યુ હતુ કે ચાંગોદરના શ્યામ એસ્ટેટમાંથી સોયાબીન તેલ, પામોલીન તેલ તેમજ વનસ્પતિ ઘીમાં ભેળસેળ કરીને અમૂલ ઘી અને સાગર ઘી તરીકે વેચવાનું કૌભાંડ પકડાયું છે. જિલ્લા એસઓજીની ટીમે દરોડો પાડીને નકલી ઘીના 215 પાઉચ તેમજ તેલ, ઘી, પેકિંગ મશીન સહિતની સામગ્રી કબજે કરી હતી. બજારમાં 239 રૂપિયામાં 500 ગ્રામ વેચાતુ ઘીનું પાઉચ ગઠિયો રૂ. 55માં વેપારીને આપતો હતો.
ચાંગોદર શ્યામ એસ્ટેટના એક ગોડાઉનમાં ઘીના નકલી પાઉચ બનાવવામાં આવતા હોવાની બાતમી જિલ્લા એસઓજીના પીઆઈ ડી.એન.પટેલને મળી હતી. ગોડાઉનમાં દરોડો પાડતા સોયાબીન તેલના ભરેલા 9 ડબ્બા, પામોલીન તેલના ભરેલા 9 ડબ્બા, ડાલડા ઘીના 20 ડબ્બા, ફલેવર તેમજ ઘીના પાઉચ પેક કરવાનું મશીન મળી આવ્યું હતું. આ સાથે ગોડાઉનમાંથી સોયાબીન તેલના ખાલી 70 ડબ્બા, પામોલીન તેલના ખાલી 69 ડબ્બા અને ડાલડા ઘીના ખાલી 241 ડબ્બા મળી આવ્યા હતા. પોલીસે શૈલેષ રમેશભાઈ સોલંકી ની આ પ્રકરણમાં ધરપકડ કરી છે.
શૈલેષે આ ગોડાઉન 3 મહિના પહેલાં ભાડે રાખ્યું હતું અને અઢી મહિનાથી તેલમાં ભેળસેળ કરીને નકલી ઘી બનાવવાનું શરૂ કર્યું હતું. પોલીસે શૈલેષની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, તે આ નકલી ઘીનું પાઉચ રૂ. 55માં બાપુનગર ઠકકરનગરના અનિરુધ્ધસિંહ નામના વેપારીને સપ્લાય કરતો હતો. પોલીસે અનિરુધ્ધસિંહને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
