અમદાવાદ માં ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક 144મી રથયાત્રા સોમવારે પરંપરાગત રીતે નિર્ધારિત કાર્યક્રમ મુજબ નીકળનાર છે ત્યારે રથયાત્રા અગાઉ આજે અમાસના દિવસે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી સાથે સરસપુર મામાના ઘરેથી નિજમંદિર પરત ફર્યા છે. નિજ મંદિર મંદિરે પરત ફર્યા બાદ ભગવાનના આંખે પાટા બાંધવાની વિધિ એટલે કે નેત્રોત્સવ વિધિ ની પૂજા વિધિ સવારથી શરૂ થઈ છે આ પ્રસંગે રાજ્યના વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ પરિવાર સાથે આ પૂજામાં ભાગ લીધો છે. નેત્રોત્સવ વિધિ બાદ ધ્વજારોહણ કરવામાં આવશે. મંદિર પર રહેલી ધજાની પૂજા કરવામાં આવશે. ભગવાન આજે નિજ મંદિર પરત ફરતા વહેલી સવારથી મંદિરમાં ભકતો ભગવાનના દર્શન માટે ઉમટી પડ્યા છે.
આજે ભગવાન જગન્નાથ નિજ મંદિર પરત ફરતા ઉત્સવ અને આનંદનો ઉત્સાહ મંદિરે જોવા મળી રહ્યો છે. આજે મંદિરમાં સાધુસંતોનો ભંડારો યોજાવાનો છે. 1000 જેટલા લોકોનો ભંડારો આજે યોજવામાં આવ્યો છે. વહેલી સવારથી ભંડારાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભંડારામાં માલપુઆ અને દૂધપાક નો પ્રસાદ આપવામાં આવે છે. સવારથી મંદિરના રસોડામાં 500 લીટર દૂધનો દૂધપાક બનાવવામા આવ્યો છે. ચણાનું શાક, પુરી અને માલપુઆ બનાવવામાં આવી રહ્યાં છે. આજે 100થી વધુ સાધુ સંતો ભગવાનના ભંડારામાં પ્રસાદનો લાભ લેશે આમ રથયાત્રા અગાઉ આજના દિવસે ખુબજ હર્ષોલ્લાસ નો માહોલ જોવા મળી રહ્યો છે.
