અમદાવાદ ના શહેરકોટડા પોટલિયા વિસ્તારમાં રાત્રી દરમિયાન કેટલાક છાકટા બનેલા તત્વો એ બેફામ બની દુકાનો પર પથ્થરમારો કરી ભય નું વાતાવરણ ઉભું કરતા આ વિસ્તારમાં ભારે ભય નો માહોલ ફેલાઈ ગયો હતો પરિણામે ઘટનાની જાણ થતા શહેરકોટડા ડીસ્ટાફ પીએસઆઈ વી.પી.ચૌધરી સહિત નો પોલીસ કાફલો સ્થળ ઉપર પહોંચતા લુખ્ખા તત્વો માં ભારે નાસભાગ મચી ગઈ હતી, આ દરમિયાન એક ઇસમે પીએસઆઈ ચૌધરીને છાતીમાં ચપ્પુ મારી દેતા તેઓ ઈજાગ્રસ્ત બન્યા હતા જેઓને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા.
પીએસઆઇ ઉપર હુમલો થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ નો કાફલો સ્થળ ઉપર ધસી આવ્યો હતો દરમ્યાન આ હુમલો કરનારા ઈસમો કોણ હતા તે હજુ ચોકકસ રીતે જાણી શકાયું નથી. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં આ જ વિસ્તારમાં ક્રાઈમ બ્રાંચના 2 કોન્સ્ટેબલો પર પણ આ જ રીતે છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો.
આમ શહેરકોટડા માં પોલીસ ઉપર હુમલાઓ ની ઘટનાઓ વધતા અહીં પોલીસ નો કોઈજ ડર નહિ હોવાનું સપાટી ઉપર આવી રહ્યું છે.
