અમદાવાદ માં આંદોલન કરી રહેલા સફાઈ કર્મચારીઓ હવે જાણે પીછેહઠ કરવાના મૂડ માં જણાતાં નથી અને હવે તો આંદોલનકારી ખેડૂતો ની જેમ સફાઈકર્મીઓ એ પણ સ્થળ ઉપર જ રસોડું ચાલુ કરી દેતા હવે આ આંદોલન લાંબુ ચાલે તેવા સંકેત મળી રહયા છે.
અમદાવાદ માં સફાઈકર્મચારીઓ ને વારસાઈનો હક આપવામાં આવે તેવી માંગ સાથે ગુરુવાર થી જ 17000 સફાઈકર્મી હડતાળ પર ઊતરી ગયા છે અને હવે એએમસીના સફાઈકર્મીઓ પણ દિલ્હી ખેડૂત આંદોલનના માર્ગે આગળ વધી રહ્યા હોય એવાં દૃશ્યો જોવા મળ્યાં છે. સફાઈકર્મીઓ દ્વારા ધરણાં સ્થળે જ રસોડું શરૂ કરવામાં આવ્યું છે, સાથે જ મહિલાઓ દ્વારા શાકભાજી સમારવાની કામગીરી ચાલી રહી છે. અંદાજે 2500 લોકો માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ જોતા હવે આંદોલન લાંબુ ચાલે તેવી શકયતા જણાઈ રહી છે.
નોંધનીય છે કે અગાઉ સફાઈકર્મીઓએ હાય હાય ભાજપ, મેયર, કમિશનરના સૂત્રોચ્ચાર કર્યા હતા અને સફાઈકર્મીઓએ બપોર બાદ ત્રણ કલાક કરતાં વધુ સમય સુધી વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન સામેનો રોડ બ્લોક કરી નાખી ડીવાયાએમસી ખરસાણ સામે ફરિયાદ નોંધવા પણ માંગ કરી હતી અને ત્રણ વખત પોલીસ સાથે વાટાઘાટો છતાં કોઈ ઉકેલ આવ્યો નથી.
