કોરોના ની સ્થિતિ ને ધ્યાને લઇ આગામી તા.23 જૂને અમદાવાદ ખાતે થી નિકળનાર ભગવાન જગન્નાથની 144 મી રથયાત્રા માં ભાવિકો સીધી રીતે નજીક થી જોડાઈ નહિ શકે પણ 10 ફૂટ દૂરથી દર્શન કરી શકશે. જે માટે રથયાત્રા ના રૂટ બંને બાજુથી બેરિકેડ કરવાનો નિર્ણય લેવાયો છે અને અંદર કોઇને પણ પ્રવેશવા દેવામાંનહીં આવે. ચાલુ વર્ષે રથયાત્રાની સુરક્ષામાં પોલીસ સહિત લશ્કરી – અર્ધ લશ્કરી દળના જવાનો મળી 25 હજાર થી વધુ જવાનો ખડેપગે ફરજ બજાવશે. દર્શન કરવા આવનારા ભક્તને પોલીસ કે સુરક્ષા કર્મચારી રોકશે નહીં. પરંતુ તેઓ બેરિકેડ ક્રોસ કરીને અંદર નહીં જઈ શકે તેમજ દર્શનાર્થીઓ માટે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક ફરજિયાત રહેશે.
ડીજીપી શિવાનંદ ઝા એ કોટ વિસ્તારની મુલાકાત લીધી હતી અને અમદાવાદને લશ્કરી – અર્ધ લશ્કરી દળની 38 ટુકડીઓ ફાળવી હતી. સુરક્ષા માટે સ્થાનિક પોલીસની સાથે લશ્કર – અર્ધ લશ્કરી દળ, બીએસએફ, સીઆરપીએફ, આરએએફ, ઈન્ડો તિબેટિયન જવાનો તૈનાત કરવામાં આવશે.
હાલ ભગવાન જગન્નાથ મોસાળમાં પધાર્યા છે અને અમાસ સુધી સરસપુરમાં જ રહેશે
જળયાત્રા પૂર્ણ થયા બાદ ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે શુક્રવારે સાંજે સાદગી સાથે મોસાળમાં પધાર્યા હતા, જ્યાં તેઓ અમાસ સુધી રોકાશે. આ સમય દરમિયાન દરરોજ દર વર્ષે યોજાતા ભજન અને આનંદના ગરબા સહિત અન્ય ધાર્મિક કાર્યક્રમો નહીં યોજાય.
દર વર્ષે રથયાત્રા જેમ જેમ આગળ વધે તેમ તેમ આગળના રસ્તા વાહનચાલકો માટે બંધ કરી દેવામાં આવે છે. પરંતુ ચાલુ વર્ષે કોરોના ની મહામારી ને ધ્યાને લઈને 22 જૂને રાતથી રથયાત્રાનો આખો રૂટ વાહનચાલકો બંધ કરી દેવામાં આવશે. રથયાત્રા નિજ મંદિરે પહોંચ્યા બાદ જ તમામ રસ્તા વાહનચાલકો માટે ખુલ્લા કરવામાં આવશે, પોલીસ વિભાગ દ્વારા રથયાત્રા દરમ્યાન વ્યવસ્થા અંગે સમીક્ષા કરવામાં આવી રહી છે.
