અમદાવાદ સિવિલ હોસ્પિટલ ના સુપ્રિટેન્ડન્ટ અને તેમના પંટરો એ સાથે મળી ને સરકારી આ હોસ્પિટલ માં અચરેલું રૂ ત્રણ કરોડ રૂપિયાનું કૌભાંડ બહાર આવતા તબીબી આલમ માં આ કિસ્સાએ ભારે ચકચાર જગાવી છે. સુપ્રિટેન્ડન્ટે ખુબજ ચાલાકી પૂર્વક 273%ના ઊંચા ભાવે રૂ .3 કરોડ રુપિયાની સર્જિકલ ચીજવસ્તુઓની ખરીદી કરી ગેરરીતિ આચરી હોવાની વાત નો ખુલાસો થયો છે. સિવિલના સર્જરી વિભાગના વડા અને પ્રોફેસર ડૉ. જી.એચ.રાઠોડ અને તેમના ચેલકાઓ એ પોતાના સબંધી અને રાજકારણ સાથે સંકળાયેલા ની કંપનીને બારોબાર ઓર્ડર આપી સ્યુચર સહિતના સર્જીકલ સાધનો ની ખરીદી કરી હતી, આરોગ્ય વિભાગ સાથે સંકળાયેલા રાજકીય આગેવાનના સગાની કંપની પાસેથી 200થી 273% સુધીની ઉંચી કિંમતે સર્જરી માટે ઉપયોગમાં લેવાતી વસ્તુઓ ખરીદવામાં આવી હોવાનું બહાર આવ્યું છે.
ડૉ.રાઠોડ પાસે ઓક્ટોબર 2019થી એપ્રિલ 2020 સુધી અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રિટેન્ડન્ટનો ચાર્જ હતો. 18 ઓક્ટોબરે સુપરિન્ટેન્ડન્ટ દ્વારા બે ડિમાન્ડ ફોર્મ ભરાયા હતા જેમાં દર્દીની સર્જરી બાદ ટાંકા લેવાના ઉપયોગમાં આવતા સ્યુચર સહિતની જુદીજુદી વસ્તુઓને ક્વોટેશનથી ખરીદી કરવા સ્ટોર મેનેજરને લેખીત ઓર્ડર કર્યો હોવાનું ખુલ્યું છે.
નિયમ મુજબ હોસ્પિટલ સુપ્રિટેન્ડન્ટ પાસે એક સમયે ક્વોટેશન ઉપર 20 હજારથી વધુનો વર્ક ઓર્ડર આપવાની સત્તા નથી. તેમ છતા ઇમર્જન્સીમાં વસ્તુ ખરીદવી પડે એવા સંજોગોમાં હાયર ઓર્થોરિટીની મંજૂરી લેવાની હોય છે, પરંતુ આ કિસ્સામાં સુપ્રિટેન્ડન્ટ દ્વારા એવી કોઈ મંજૂરી લેવાઈ નથી અને રાજકીય આગેવાનના ઈશારે બારોબાર મળતીયા કંપનીને વર્ક ઓર્ડર અપાયો હતો અને તમામ વર્ક ઓર્ડર ક્વોટેશન આધારે અપાયા હતા. યુનિટી હેલ્થકેર કંપનીને ક્વોટેશન આધારે ઓર્ડર મળ્યો હતો. યુનિટી હેલ્થકેર કંપનીનો ભાવ ટેન્ડર રેટ કરતા 200થી 273% સુધી વધારે હતો. છતા તેને ઓર્ડર અપાયો હતો.
હોસ્પિટલોમાં ખરીદી માટે કંપનીઓ પાસેથી 1 વર્ષ માટે ભાવોના ટેન્ડર મંગાવાયા બાદ મળેલા ભાવો મુજબ વસ્તુઓની યાદી તૈયાર થાય છે અને પછી જરૂરિયાત મુજબ વસ્તુ મંગાવાય છે. આ કિસ્સામાં ટેન્ડરમાં મળેલા ભાવોને ધ્યાનમાં લીધા વગર ઉંચા ભાવે સર્જીકલ વસ્તુઓની ખરીદી કરાઈ હતી. કંપનીને બીજા વર્કઓર્ડરમાં સિવિલમાં રાજ્ય આરોગ્ય વિભાગને આ અંગેની ફરિયાદ મળી છે. ડૉ. રાઠોડ પાસેથી અધવચ્ચે સુપ્રિટેન્ડન્ટનો ચાર્જ પરત લેવાનું કારણ આજ હોવાની ચર્ચા છે. સિવિલમાં સામગ્રી સપ્લાય કરતી આ કંપનીના માલીકો મોટા રાજકીય આગેવાનો સાથે ઘરોબો ધરાવતા હોવાથી આ કેસ રફેદફે થઈ જવાની પણ શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે આમ કૌભાંડ નો સિલસિલો યથાવત રહેતા જનતા માં નિરાશા નો માહોલ જોવા મળી રહ્યો છે.
