અમદાવાદ: કોરોના વાયરસ મામલે હવે ગુજરાત સરકાર ગંભીર બની છે અને રાજ્યભરમાં એપિડેમિક ડિસિસ એક્ટ 1897 લાગુ કરી દેવાયો છે અને હવેથી વિદેશથી આવેલી કોઈપણ વ્યક્તિ ને 14 દિવસ સુધી ઘર બહાર નીકળી નહિ શકે અને જો આવી વ્યક્તિ ઘર બહાર નીકળશે તો અને મ્યુનિ. હેલ્થ વિભાગને તે અંગે ફરિયાદ મળશે તો તેની સામે મ્યુનિ. કાર્યવાહી કરશે અને તે વ્યક્તિને કોરોનટાઇન (અલાયદા) રાખવા માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી દેવાશે.
ચીન, જાપાન, ઈટાલી, ફ્રાન્સ, સ્પેન, કોરિયા, ઇરાન સહિતના દેશમાંથી આવનારા અને 60 વર્ષથી ઉપરની વયજૂથના વ્યક્તિઓ બીમાર હોય કે ન હોય તો પણ એડમિટ કરી દેવામાં આવશે અને ડાયાબિટીસ કે હાઇપર ટેન્શનની બીમારી હશે તો તેમને પણ સિવિલ હોસ્પિટલમાં 14 દિવસ સુધી રાખવામાં આવશે. આ ઉપરાંત વિદેશથી અહીં આવેલા દરેક વ્યક્તિએ પોતાના ઘરમાં પણ સ્વજનોથી અંતર રાખવું પડશે. ઘરની અંદર કે બહારના વ્યક્તિઓ સાથે સંપર્ક કરી શકશે નહીં. આ ગાઇડલાઇન્સનું પાલન નહીં કરનારને કલમ 188 મુજબ ફોજદારી કાર્યવાહી પણ કરવામાં આવશે. આ બાબતનું ધ્યાન રાખવાની જવાબદારી પણ મ્યુનિ. હેલ્થ વિભાગના અધિકારીને અપાઇ છે. આમ કોરોના મામલે હવે સરકાર ગંભીર બની છે અને શક્ય તેટલા આગોતરા પગલાં ભરવાની શરૂઆત કરી દીધી છે.
