આપણી દેશી સિસ્ટમ માં ગમે તેટલું કરો પણ તંત્ર સુધરતું નથી અને લોકો મુશ્કેલી નો ભોગ બનતા રહે છે પહેલી મેથી સમગ્ર દેશમાં 18 થી 44 વયજૂથના લોકોને કોરોના વેક્સિનનું અભિયાન શરૂ કરી મોટી મોટી જાહેરાતો કરવામાં આવી રહી છે અને લાઈન માં ઉભું રહેવું ન પડે અને કોઈનો સમય ન બગડે તે માટે ઓન લાઈન નોંધણી નો ઓપશન અપાયો હતો પણ અમદાવાદમાં ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવીને લોકો સેન્ટર ઉપર પહોંચ્યા ત્યારે આગોતરા આયોજન ના અભાવે સિસ્ટમની ખામીના કારણે હેરાન થવું પડ્યું હતું.
અમદાવાદ ના ગોમતીપુર, નારણપુરા, વિરાટનગર જેવા 50 સેન્ટરો ઉપર ટેક્નિકલ ખામી સર્જાતા લોકો ની ભીડ થઈ હતી જે કોરોના વકરે તેવી સ્થિતિ ઉભી થતા લોકો ને સરકારી ખાતા સામે રોષ ફેલાયો હતો અને લોકો એ હલ્લો બોલાવતા કેટલાક સેન્ટર ઉપર પોલીસ બોલાવવા ની ફરજ પડી હતી. રજિસ્ટ્રેશન બાદ લોકોને આવેલા મેસેજમાં સેન્ટરની અપૂરતી વિગતને કારણે પાછા ફરવું પડ્યું હતું. રજિસ્ટ્રેશન વખતે પીનકોડ નાંખવા છતાં દૂર દૂર સેન્ટરો ફાળવાયા હતા. સવારથી સર્વર સતત વ્યસ્ત રહ્યું હતું આ કારણે સંખ્યાબંધ લોકોએ વેક્સિન લીધા વગર ઘરે પરત ફરવું પડ્યું હતું.
18થી 44 વયજૂથના આશરે 16 હજાર લોકોને પ્રથમ દિવસે વેક્સિન આપવાનો કોર્પોરેશનનો ટાર્ગેટ હતો. જેમાંથી ફકત 13289 લોકોને જ વેક્સિન અપાઈ હતી. આશરે 2711 લોકોને સિસ્ટમની ખામીના કારણે વેક્સિન અપાઈ નહોતી. આ વયજૂથના લોકો માટે શહેરમાં કુલ 76 શાળા અને 4 નાના હોલમાં વ્યવસ્થા ગોઠવાઈ હતી. ઓનલાઈન રજિસ્ટ્રેશન કર્યા બાદ એસએમએસમાં મળેલા ટાઈમ સ્લોટ મુજબ લોકો સેન્ટર ઉપર વેક્સિન લેવા પહોંચ્યા હતા તેમ છતા વેક્સિન લેવામાં આશરે અઢીથી ત્રણ કલાક લાઈનમાં ઊભા રહેવું પડ્યું હતું. ઓનલાઈન રજિસ્ટ્રેશન કન્ફર્મ થવા છતા સોફ્ટવેરમાં નામ ડિસ્પ્લે નહીં થવાની લોકોની મહત્તમ ફરિયાદ આવી હતી.
18થી 44 વર્ષની વયજૂથના લોકો માટે અમદાવાદમાં અલાયદા 80 સેન્ટર ઊભા કરવામાં આવ્યા હતાં. પ્રથમ દિવસે આ પૈકી 50 જેટલા સેન્ટર ઉપર ટેક્નિકલ ખામી સર્જવાના કારણે લોકોએ કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવું પડ્યું હતું અને હેરાન થવું પડ્યું હતું. કેટલાક લોકોની ધીરજ ખૂટી જતા વેક્સિન લીધા વગર જ ઘરે પરત ફરવું પડ્યું હતું.
આમ પૂરતા અયોજનો વગર જ ચલાવાઈ રહેલા અભિયાન માં દેશી જૂની ઘરેડ ને લઈ લોકો પરેશાન થઈ ઉઠ્યા છે.
