એક તરફ પર્યાવરણ માટે વૃક્ષો ખુબજ ઉપયોગી છે અને વધુ ને વધુ વૃક્ષો વાવવા માટે જાગૃતિ અભિયાન ચલાવાઈ રહ્યું છે તો બીજી તરફ સરકારી પ્રોજેકટ માં અવરોધ રૂપ જણાતા મોટાપાયે વૃક્ષો કાપી નાખવામાં આવી રહયા છે આવા વૃક્ષો કાપી નાખવાનો આંકડો ખુબજ મોટો છે.
આ બધા વચ્ચે તાજા અહેવાલો એવા પણ છે કે અમદાવાદ–ગાંધીનગર મેટ્રો રેલ પ્રોજેકટ માટે મેટ્રો રેલ પ્રોજેકટના એલાઈમેન્ટમાં આવતાં 1000 જેટલાં વૃક્ષોને કાપવા ગુજરાત રાજ્યના વન વિભાગે લીલીઝંડી આપી દીધી છે, પરંતુ કેન્દ્ર સરકારની મંજૂરી બાદ આ વૃક્ષો કાપી નાખવામાં આવશે.
અમદાવાદ અને ગાંધીનગરમાં મેટ્રો અને બુલેટ ટ્રેનના જાયન્ટ પ્રોજેકટ ચાલી રહ્યા છે, પણ આ વિકાસ પ્રોજેકટ માં વચ્ચે આવતા વૃક્ષો પૈકી માત્ર અમદાવાદમાંથી જ 6500 જેટલાં વૃક્ષોનું નિકંદન નીકળી ચુક્યુ છે. હવે, ગાંધીનગર સુધી મેટ્રો ટ્રેન પહોંચાડવા માટે વધુ 1000 વૃક્ષ કાપવા ગતિવિધિ શરૂ થઈ છે.
સ્માર્ટસિટી અમદાવાદને ગ્રીનસિટી બનાવવા ની વાતો વચ્ચે અમદાવાદમાં મેટ્રો રેલ અને બુલેટ ટ્રેન પ્રોજેકટ શરૂ થતા અમદાવાદમાં છેલ્લાં 5 વર્ષમાં મેટ્રો રેલ માટે 2200 અને બુલેટ ટ્રેન માટે 4300 વૃક્ષ કાપવામાં આવ્યાં હતાં, જેમાં 2016-17માં મેટ્રો માટે સૌથી વધુ 792 ઝાડ કાપવામાં આવ્યાં હતાં, જ્યારે 5 વર્ષમાં બુલેટ ટ્રેન પ્રોજેકટ માટે માત્ર અમદાવાદમાં જ 4300 વૃક્ષો કપાઈ ગયાં હતાં, જેમાં વર્ષ 2020-21માં જ 2817 વૃક્ષો કપાયાં છે. આમ, અમદાવાદમાં મેટ્રો અને બુલેટ ટ્રેન પ્રોજેકટ માટે 6500 જેટલાં વૃક્ષો કાપી નાખવામાં આવ્યા છે.