ભાજપના નેતા નૂપુર શર્મા દ્વારા થયેલા મહંમદ પયગંબરના વિવાદાસ્પદ નિવેદન બાદ મુસ્લિમ સમાજ દ્વારા ઠેરઠેર વિરોધ પ્રદર્શન થઈ રહયા છે ત્યારે અમદાવાદમાં દરિયાપુર સહિત આજે લાલ દરવાજા વિસ્તાર સ્થિત ઢાલગરવાડ બજાર અને ત્રણ દરવાજા બજાર સજ્જડ બંધ રહયુ હતું.
ઢાલગરવાડ અને ત્રણ દરવાજા વિસ્તારમાં આવેલા પાથરણા બજારના વેપારીઓએ બંધ રાખીને વિરોધ નોંધાવી સ્થાનિકોએ નૂપૂર શર્માની ધરપકડની માંગ કરતા બેનર લઈને રેલી કાઢી હતી.
પાથરણા બજારને 12 વાગ્યા બાદ કેટલાક લોકોએ આવીને બંધ કરાવી દેતા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે અને પેટ્રોલિંગ પણ શરૂ કરી દીધું છે.
અત્રે નોંધનીય છેકે ગઈકાલે ગુરુવારે કેટલાક વિસ્તારોમાં બંધના મેસેજ વાયરલ થતા લાલ દરવાજા, કારંજ, પટવાશેરી સહિતના આસપાસના વિસ્તારોના સ્થાનિક મુસ્લિમ આગેવાનો અને સ્થાનિક પોલીસ તથા ઉચ્ચ અધિકારીઓ વચ્ચે બેઠક પણ યોજાઈ હતી અને આ બેઠકમાં મુસ્લિમ સમાજના આગેવાનોને શાંતિ તથા ભાઈચારાની એકતા જળવાઈ રહે તે માટે બંધ ન રાખવા સમજાવવામાં આવ્યા હતા અને તેઓ દ્વારા બંધ ન રાખવા સંમતિ પણ દર્શાવી હતી જોકે,ત્યારબાદ બપોરે બજારો બંધ કરાવવાનું ચાલુ થતા વાતાવરણ તંગ બન્યું હતું અને રેલી નીકળતાં આ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે સમગ્ર વિસ્તાર કોર્ડન કરી બંદોબસ્ત ગોઠવી પેટ્રોલીંગ શરૂ કર્યું છે.
