ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જે તે સમયે 550 કરોડ રૂપિયાના ખર્ચે મહાત્મા મંદિર બનાવીને ગાંધીનગરને નવી ઓળખ તો આપી દીધી છે પરંતુ તેનું સંચાલન રાજ્ય સરકાર કરતી નથી. આ મંદિરની જાળવણીનું પણ પ્રાઇવેટ પાર્ટીને આપી દેવામાં આવ્યું છે.
ઉદ્યોગ વિભાગના સૂત્રોએ કહ્યું છે કે મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટરની ઇન્ડીપેન્ડેન્ટ વાયેબિલીટી વધારવા અને મંદિરને આંતરરાષ્ટ્રીય ધોરણે ચલાવવાની ટેકનિક માટે દિલ્હી સ્થિત લીલા વેન્ચર લિમિટેડને 25 વર્ષ માટે સંચાલન તેમજ જાળવણીનું કામ સોંપવામાં આવ્યું છે.
આ કંપનીને મેનેજમેન્ટ ફી તરીકે બેઇઝ ફી અને પ્રોત્સાહક ફી ચૂકવવાનું નક્કી થયું છે. બેઇઝ મેનેજમેન્ટ માટે પ્રત્યેક નાણાકીય વર્ષની કુલ આવકના બે ટકા રકમ તેમજ કુલ નફામાંથી ફી તરીકે ચૂકવેલી રકમ બાદ કરતાં બાકી રહેતા એડજસ્ટમેન્ટ નફામાંથી સંચાલન વર્ષને ધ્યાને લઇ ગ્રોસ ઓપરેટીંગ પ્રોફિટના શૂન્ય ટકા થી 6.5 ટકા સુધીની રકમ પ્રોત્સાહક ફી તરીકે ચૂકવવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે.
નોંધનિય છે કે મહાત્મા મંદિરની છેલ્લા બે વર્ષની આવકનો આંકડો 17.50 કરોડ રૂપિયા થયો છે. આ જગ્યાએ બે વર્ષમાં વાયબ્રન્ટ સમિટ સહિત કુલ 51 સરકારી અને 56 ખાનગી કાર્યક્રમો થયાં છે.