અમદાવાદ તથા ગુજરાતના અન્ય શહેરોનાં સાઈબાબાના ભક્તો માટે ખુશખબર છે. મહારાષ્ટ્રના એહમદનગર જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ શિર્ડી માટે કેન્દ્ર સરકારની ઉડાન યોજના અંતર્ગત અમદાવાદ નાસિક વચ્ચે સસ્તા દરની સીધી ફ્લાઈટ 13 મી ફેબ્રુઆરીથી શરૂ થશે.
સામાન્ય નાગરિકો પણ સસ્તા દરે હવાઈ મુસાફરી કરી શકે તે માટે કેન્દ્ર સરકારની ઉડાન યોજના છે. ગુજરાતમાં પણ પ્રથમ તબક્કામાં અમદાવાદથી બોમ્બે અને પોરબંદર સુધીની સસ્તા દરની હવાઈ મુસાફરી ચાલુ કરી છે.
હવે ફરીથી 13મી ફેબ્રુઆરી અમદાવાદથી નાસીક વચ્ચેની હવાઈ સેવા શરૂ થઈ રહી છે, જેનું ભાડું 2060 રૂપિયા રહેશે. ગાંધીનગરમાં આજે ઉદયન મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષપદ હેઠળ ઉચ્ચ અધિકારીઓની એક બેઠક મળી હતી. જેમાં ઉડાન યોજના હેઠળ શરૂ થયેલી કામગીરીની સમીક્ષા કરાઇ હતી.
તેમજ એવો નિર્ણય લેવાયો છે કે ધાર્મિક સ્થળો શિર્ડી સની શિંગણાપુર તથા ત્રંબકેશ્વર જેવા સ્થળોએ મુસાફરો વાજબી ભાવે અને ઝડપથી પહોંચી શકે તે માટે અમદાવાદથી ઓઝાર એટલે કે નાસીક સુધીની હવાઈ સેવાનો પ્રારંભ કરાશે. જેમાં 35 બેઠકો રિજનલ એર કનેક્ટિવિટી સી પ્લેન સ્કીમ હેઠળ આવરી લેવાશે.
આ રૂટ માટે ટિકિટનો દર રૂ. 2060 રહેશે આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય ફ્લાઈટમાં પણ ઉડાન યોજનાનો લાભ કઈ રીતે આપી શકાય તેની વિચારણા આ બેઠકમાં થઈ હતી. તેમજ વિડીયો કોન્ફરન્સ ભુપેન્દ્રસિંહએ કેન્દ્ર સમક્ષ રજૂઆત કરી છે કે ડીસા એરપોર્ટ ખાતેથી જેસલમેર જોધપુર અમદાવાદ શરૂ હવાઈ સેવા કરવી જોઈએ.