અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને નિર્ણય લીધો છે આગામી તારીખ 1 જુલાઇથી 30મી ઓગસ્ટ સુધી શહેરોમાં વૃક્ષારોપણ કરવામાં આવશે. આ ઝુંબેશ દ્વારા શહેરમાં હજારો નહીં પરંતુ દસ લાખ વધુ વૃક્ષોનું રોપણ કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.
મ્યુનિ. કમિશનર વિજય નેહરાએ મ્યુનિ. ગાર્ડન એન્ડ પાર્કસ વિભાગના અધિકારીઓ સાથે કરેલી એક બેઠકમાં આ નિર્ણય લીધો છે. તેમણે કહ્યું છે કે, ‘પર્યાવરણની જાળવણીની સાથે સાથે શહેરના રાજમાર્ગોની સુંદરતા વધે તે માટે રાજમાર્ગના ડિવાઈડરો પર આકર્ષક ફૂલો અને ગુલમહોર તથા ચીની બદામ જેવા નવા વૃક્ષોનું રોપણ કરવાની પણ યોજના સામેલ કરવામાં આવી છે. દશ લાખ વૃક્ષોના રોપણના લક્ષ્યાંકમાં પાંચ લાખ વૃક્ષો રાજમાર્ગ પરના ડિવાઈડરોમાં રોપવામાં આવશે. આ ઉપરાંત બાકીના પાંચ લાખ વૃક્ષો શહેરના વિવિધ વિસ્તારો, મ્યુનિ.પ્લોટો, મ્યુનિ. મિલકતો અને મ્યુનિ.શાળાઓ અને કોમ્યુનિટી હોલ વિગેરે સ્થળોએ રોપવામાં આવશે. આ વૃક્ષોમાં ગરમાળો, લીમડો, ગુલમહોર, કણજી અને આસોપાલવનો સમાવેશ કરવામાં આવશે.