શહેરીજનો ખાણીપીણી માટે માણેકચોક જતા હોય છે અને ત્યા મોડી રાત સુધી મનગમતી ખાણીપીણીની ચીજો મળી રહે છે. પરંતુ આ અમદાવાદની પ્રખ્યાત બજાર 26 જાન્યુઆરી 2020થઈ લઈને 31 જાન્યુઆરી 2020 સુધી બંધ રહેશે.
માહિતી અનુસાર અમદાવાદ મહાનગરપાલિકાએ એક તરફ લો ગાર્ડનની હેપી ફુડ સ્ટ્રીટના ઉદઘાટનની તૈયારીઓ કરી રહી છે. AMC દ્રારા જ 5 દિવસ માણેકચોકનું રાત્રિ બજાર બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પાંચ દિવસ બંધ પાછળ માણેકચોકમાં નવા રસ્તા સહિતનાં કામકાજ જવાબદાર છે. મહાનગરપાલિકા દ્રારા 25 કરોડનાં ખર્ચે માણેકચોકમાં નવા રસ્તા સિવાય અનેક રિપેરિંગના કામકાજ કરવામાં આવશે.
થોડા દિવસ પહેલાં અમદાવાદના મેયર સહિતનાં મહાનુભાવોએ રાત્રે ખાણીપણીની મજા લેવા માટે માણેકચોક આવ્યા હતા. ત્યારે સ્થાનિક કોર્પોરેટરે તેમને ખરાબ રસ્તા અંગે અવગતા કરાવ્યા હતા. જેને લઈને મેયર તાત્કાલિક બજારના રસ્તા રિપેર માટે સ્પેશિયલ બજેટમાંથી રસ્તાના રિપેરિંગ માટે રકમ ફાળવી હતી. રસ્તાના રિપેરિંગ બાદ રાત્રિ ખાણીપીણીનું આ બજાર રાબેતા મુજબ ચાલુ થઈ જશે. જો કે દિવસ દરમિયાન અહીં સોની બજાર, કપડા બજાર તથા શાકભાજીનું વેચાણ ચાલુ રહેશે. 5 દિવસ દરમિયાન માત્ર રાત્રિનું બજાર જ સંપુર્ણ બંધ રહેશે.