રાજ્યમાં કોરોનાના કેસો સતત વધી રહ્યાં છે એવી સ્થિતિમાં રાજ્ય સરકાર દ્વારા તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ ઓફિસોમાં માત્ર 50 ટકા જ સ્ટાફ બોલાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. ત્યારે એવી સ્થિતિમાં અમદાવાદના જોધપુરમાં આવેલો સ્ટાર બજાર અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સીલ કરવામાં આવ્યો છે. કોરોના કાળમાં 50 ટકા સ્ટાફ હાજર રાખવાના નિયમના ઉલ્લંઘન બદલ કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. કોરોનાનો કહેર વધતા તંત્રએ ઓફિસમાં 50 ટકા સ્ટાફ હાજર રાખવાનો નિયમ તૈયાર કર્યો હતો.ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. જે અનુસંધાને કુલ 275 ઓફીસમાં ચેકીગ કરવામાં આવ્યું હતું. જેમાં ચાર એકમમાં નિયમનો ભંગ થતા તેઓને સીલ મારવામાં આવ્યું છે. ઇસનપુરમાં આવેલો એરાયુરો ઓટો મોબાઇલ્સ, સીટીએમ ક્રોસીંગ પર આવેલા ગોકુલ ઓટો વર્લ્ડ, ન્યુ કલોથ માર્કેટ પર જૈન ટેક્ષસ્ટાઇલ અને સુમેલ બિજનેસ પાર્ક -1માં બી.એમ. ટ્રેડર્સને સીલ કરવામાં આવ્યાં હતાં.
અગાઉ પણ અમદાવાદમાં વકરતા કોરોના સંક્રમણ વચ્ચે કોર્પોરેશનના નિયમો ભંગ કરનાર પાંચ એકમોને સીલ કરવામાં આવ્યાં છે. નિયમ મુજબ અમદાવાદમાં ખાનગી ઓફિસોમાં 50 ટકા સ્ટાફ સાથે કામ ચલાવવાનો નિર્દેશ છે. જેથી કોર્પોરેશનની ટીમે 427 જેટલી ઓફિસ પર ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાંથી પાંચ ઓફિસમાં 50 ટકાથી વધુ સ્ટાફ હાજર હોવાથી કોર્પોરેશને આ ઓફિસને સીલ કરી છે. કોર્પોરેશને મકરબાની ગેલોપ્સ ઓટોહોસ, એસ.જી હાઈવે પર આવેલી મેસર્સ સી એન્ડ એસ, થલતેજમાં આવેલી એક્સિસ બેંકના હેલ્પ ડેસ્ક, નિકોલમાં રિદ્ધી કો, સર્વિસિસ અને વસ્ત્રાલની ક્રિષ્ના ડાયમંડની ઓફિસ સીલ કરી દીધી છે.અત્રે ઉલ્લેખનીય છે કે, બીજી બાજુ કોરોનાને અટકાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ શહેરમાં આવતી તમામ ખાનગી ઓફિસ, કોમર્શિયલ એકમો અને સંસ્થાઓમાં 50 ટકા જ સ્ટાફ અથવા ઑલ્ટરનેટ દિવસે કર્મચારીઓને બોલાવવાનો નિર્ણય કર્યો હતો.