અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં ઘોડાસર ચાર રસ્તા પાસે આવેલી ગાયત્રી લેબોરેટરીમાં ખોટા RT-PCR ટેસ્ટ રિપોર્ટ આપવાનું કૌભાંડ ઝડપાયું છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે આ લેબોરેટરી સીલ મારી હોવાનું જાણવા મળ્યું છે. લાયસન્સ ન હોવા છતાં લેબના સંચાલક દ્વારા 500 રૂપિયામાં ખોટો RT-PCR ટેસ્ટ રિપોર્ટ આપવામાં આવતો હોવાનું બહાર આવ્યું છે. મળતી જાણકારી મુજબ, અમદાવાદમાં એક તરફ રેમડેસીવીર ઇન્જેક્શન માટે લોકો પડાપડી કરી રહ્યા છે જેની વચ્ચે અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં ઘોડાસર ચાર રસ્તા પર આવેલી ગાયત્રી પેથોલોજી લેબોરેટરીમાં 500 રૂપિયામાં બોગસ RT-PCR ટેસ્ટ કરવામાં આવતો હોવાનું બહાર આવતા મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા હતા. આરોગ્ય વિભાગના દરોડા દરમિયાન જાણવા મળ્યું હતું કે લેબોરેટરી પાસે ટેસ્ટ કરવા માટે લેબોરેટરી લાયસન્સ ન હતું.નિલેશ વાઘેલા નામનો શખ્સ આ લેબોરેટરી ચલાવતો હતો અને રિપોર્ટ આપતો હતો. ગાયત્રી પેથોલોજી દ્વારા સ્ટર્લિંગ એક્યુરિસ લેબોરેટરીના નામે સેમ્પલ લઈ રિપોર્ટ આપવામાં આવતા હતા. જો કે સ્ટર્લિંગ એક્યુરિસ દ્વારા ગાયત્રી પેથોલોજી લેબોરેટરી સાથે કોઈ જોડાણ ન હોવાનું જણાવતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. AMCના દક્ષિણ ઝોનના હેલ્થ ખાતા દ્વારા લેબોકેટરીને સીલ કરવામાં આવેલી છે. તેમજ સ્ટર્લિંગ એક્યુરિસ લેબોરેટરી દ્વારા ગાયત્રી પેથોલોજી લેબોરેટરીના સંચાલક નિલેશ વાઘેલા સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેથી આ મામલે ઈસનપુર પોલીસ સ્ટેશને વધુ તજવીજ હાથ ધરી છે.
