દેશમાં અને રાજ્યમાં વાયરસે આતંક મચાવ્યો છે. ત્યારે આ વચ્ચે ગુજરાતમાં ઘાતક વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદના જીએમડીસી ખાતે ધન્વંતરી કોવિડ હોસ્પિટલમાં ટોકન વિતરણ દરમ્યાન દર્દીના સ્વજનોએ હોબાળો મચાવ્યો હતો. પરિસ્થિતિ એટલી ખરાબ બની કે સ્વજનોએ રીક્ષા વડે હોસ્પિટલની બહાર મુકવામાં આવેલા બેરિકેટ તોડવાનો પણ પ્રયાસ કર્યો હતો. આ દરમ્યાન પોલીસે અટકાવતા દર્દીના સ્વજનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું.
આ અંગે મળતી માહીતી મુજબ, બુધવારે નવા ૫૬૭૨ કેસ નોંધાયા છે.અગાઉ મંગળવારે ૫૬૬૯ કેસ નોંધાયા હતા.દૈનિક નોંધાઈ રહેલા કેસની સંખ્યા અગાઉ જે મોટી સંખ્યામાં બહાર આવતી હતી એમાં હવે ઘટાડો જોવા મળી રહ્યો છે.બુધવારે શહેરમાં ૨૬ લોકોના મરણ થતા અત્યાર સુધીમાં કુલ ૨૭૯૯ લોકોના કોરોના સંક્રમિત થવાથી મરણ થયા છે.બુધવારે ૨૨૦૬ લોકો સાજા થતા અત્યાર સુધીમાં કુલ ૮૮,૨૦૯ લોકો કોરોના મુકત થવા પામ્યા છે.એક વર્ષથી પણ વધુના સમયથી જોવા મળતી આ મહામારીમાં બે બાબત ધ્યાન ખેંચી રહી છે.
પહેલી બાબત શહેરમાં ૧૩ મહિનામાં કોરોનાના જે કુલ કેસ નોંધાયા છે.આ કેસના ૫૪ ટકા કેસ તો આ વર્ષે પહેલી એપ્રિલ થી ૨૮ એપ્રિલ સુધી નોંધાવા પામ્યા છે.૨૮ દિવસમાં અમદાવાદ શહેરમાં કુલ ૮૧,૬૬૧ કેસ નોંધાયા છે.બીજી બાબત શહેરમાં એકિટવ કેસની સંખ્યા ૫૫,૬૧૮ ઉપર પહોંચી છે. બુધવારે શહેરમાં કુલ ૨૦૬૨૪ લોકોએ કોરોના વિરોધી રસી લીધી છે.જે પૈકી ૧૦૮૯૫ પુરૂષ અને ૯૭૨૯ મહિલાનો સમાવેશ થાય છે.