રથયાત્રાના અષાઢી બીજના દિવસે વરસાદના અમી છાંટણા ના થવાથી ભક્તોમાં નિરાશા જોવા મળી હતી. રાજ્યમાં અષાઢી બીજના અવસરથી ચોમાસાની શરૂઆત સાથે હવામાન વિભાગે રાજ્યમાં પાંચ દિવસ વરસાદી માહોલ રહેવાની આગાહી કરી છે. રાજ્યના અરવલ્લી, બનાસકાંઠા અને મહીસાગરમાં ભારે વરસાદની વકી હોવાનું જણાવ્યું છે.
અષાઢી બીજ ભગવાન જગન્નાથની રથયાત્રાના દિવસે અમી છાંટણા થાય તો આવનારૂ વર્ષ ખેડૂતો અને પ્રજા માટે ફળદાયી નીવડે તેવી લોક વાયકા છે. જો કે, આજની રથયાત્રામાં વરસાદના અમી છાંટણા થયા ન હતા. તેથી ભક્તોમાં નિરાશા વ્યાપી હતી. જો કે, હવામાન વિભાગના જણાવ્યા મુજબ, રાજ્યમાં આગામી પાંચ દિવસ દરમિયાન અમદાવાદ શહેરમાં વરસાદની શક્યતા ઓછી છે. જ્યારે આવતીકાલે રાજ્યના બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે.