હાલમાં ગુજરાતમાં કોરોના કાળ ચાલી રહ્યો છે ત્યારે આવી સ્થિતિમાં અવારનવાર સોશિયલ મીડિયામાં ફેક મેસેજ કે વીડિયો વાયરલ થતા હોય છે. ત્યારે તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર કોઇ એવો મેસેજ વાયરલ થયેલો કે, અમદાવાદમાં ડોમેસ્ટિક એરપોર્ટની નજીક કોઈ 1000 બેડવાળો કોવિડ કેર સેન્ટર તૈયાર થયું છે. ત્યારે આ મામલે અમદાવાદ એરપોર્ટના ઓફિશીયલ ટ્વિટર હેન્ડલ દ્વારા આવો મેસેજ ફેક હોવાનું સામે આવ્યું છે તેમજ તેઓએ ટ્વિટ કરીને એમ પણ જણાવ્યું છે કે, ‘કૃપા કરીને આવી કોઇ પણ જાતની માહિતી તમે તમારા સ્નેહીજનોને ફોરવર્ડ કરો તે પહેલાં અમે માહિતીની ચકાસણી કરવાની સલાહ આપીશું.’ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ગત રોજ ગુરૂવારના દિવસે ગુજરાતના DGP એ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું કે, ‘કોરોના કાળ વચ્ચે કોઈ પણ પ્રકારના ભયજનક કે પછી અફવા ફેલાય તેવા મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ કરવા નહીં. કારણ કે ગુજરાત પોલીસ વિભાગની સોશિયલ મીડિયા ઉપર ચાંપતી નજર રહેલી છે.’અત્રે નોંધનીય છે કે, સોશિયલ મીડિયા પર આવા અવારનવાર ફેક ન્યુઝ વાયરલ થતા હોય છે. તાજેતરમાં જ રાજ્ય સરકાર દ્વારા 6 મોટા શહેરોમાં 11 એપ્રિલથી લોકડાઉન થવાનો ખોટો પત્ર વહેતો થયો હતો. જે અંગેનું રાજ્ય સરકારે ખંડન કર્યું હતું.
