રાજ્યમાં આજ રોજ ફરી કોરોનાના નવા કેસ 13 હજારને પાર પહોંચી ગયા છે જ્યારે વધુ 137 લોકોના મોત થયાં છે. આવી સ્થિતિમાં આણંદ જિલ્લામાં પણ કોરોના સંક્રમણ વધતા પરિસ્થિતિ વધારે વકરી ગઇ છે. ત્યારે તાજેતરમાં જ બોરસદ વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમાર પણ કોરોના સંક્રમિત થયા છે.રાજેન્દ્રસિંહ પરમારનો રીપોર્ટ પોઝિટિવ આવતાં તેઓ હોમ આઇસોલેટ થયા છે. તેઓએ સંપર્કમાં આવેલા તમામને ગાઇડલાઈનનું પાલન કરી ટેસ્ટ કરાવવા અપીલ કરી છે.
ઉલ્લેખનીય છે કે, ખેડા જિલ્લાના કઠલાલ તાલુકા મથકમાં ૪૮ કલાકના લોકડાઉનની ચુસ્ત અમલવારી જોવા મળી હતી છે. તંત્ર દ્વારા થયેલી કડક કાર્યવાહીને લીધે શહેરમાં લોકડાઉનનો અમલ શક્ય બન્યો હોવાનું શહેરીજનો ચર્ચી રહ્યાં છે. કોરોનાના વધતા સંક્રમણ સામે કઠલાલ નગરપાલિકા દ્વારા સ્વૈચ્છીક બંધની અપીલ કરવામાં આવી હતી, પણ તેની કોઈ અસર થઈ ન હતી. કોરોનાના કેસો વધતા હોવા છતાં નગરના બજારો અને વેપારો ધમધમતા જોવા મળ્યા હતાં. અંતે કઠલાલ નગરપાલિકાએ સોમવારે ૧૯ એપ્રિલે બે દિવસનું સંપૂર્ણ લોકડાઉન જાહેર કરી દીધું હતું. મંગળવાર ૨૦ તારીખ અને બુધવાર ૨૧ તારીખના કુલ ૪૮ કલાક શહેરમાં તમામ વેપારધંધાઓને બંધ રાખવાનો હુકમ કરવામાં આવ્યો હતો.