ભારે ગરમીમાં પ્રાણીઓ પાણીની શોધમાં શહેરી વિસ્તારોમાં ભટકી રહ્યા છે, ત્યારે કેટલાક ગામોમાં આદમખોર પ્રાણીઓના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
મોરબીમાં પાછલી રાત્રે દિપડાએ હુમલો કર્યો હતો. અંદાજે 40 કરતાં પણ વધુ ઘેટાં-બકરાનો શિકાર કર્યો હતો. વહેલી સવારે પશુપાલકો જાગ્યા તો પોતાના જાનવરો મૃત હાલતમાં અને લોહીમાં તરબતર જોવા મળ્યા હતા. પશુ પાલકો ચોંકી ઉઠયા હતા. તપાસ કરતા જણાઈ આવ્યું કે ઘેટાં-બકરાના શરીર પર દિપડાના પંજાના નિશાન છે. પશુપાલકોએ તમામ પ્રાણીઓનો નિકાલ કર્યો છે.
દિપડાના થયેલા અચાનક હુમલાના કારણે પશુપાલકોમાં દહેશત વ્યાપી ગઈ છે. ગામ લોકોમાં ભયનો માહોલ છે. જંગલ ખાતાને જાણ કરવામાં આવતા દિપડાને ઝબ્બે કરવા માટે ગામમાં પાંજરો મૂકી દેવામાં આવ્યો છે.