ભરૂચ ભાજપનાં સાંસદ મનસુખ વસાવાએ પોલીસ વિરુદ્ધ ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને એક સણસણતો પત્ર લખ્યો છે, જેમાં એમણે પોલીસ BTP-કોંગ્રેસ સામે મુકપ્રેક્ષક બની ગઈ હોવાનો તથા ગુનેગારોને છાવરતી હોવાનો આક્ષેપ લગાવ્યો છે. MP મનસુખ વસાવાના આ આક્ષેપ બાદ પોલીસ તંત્ર ચોંકી ઉઠ્યું છે. ભાજપ સાંસદ મનસુખ વસાવાએ પોલીસ વિરુદ્ધ આવા ગંભીર આક્ષેપો લગાવવાનો વારો કેમ આવ્યો એનું મૂળ કારણ ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામ બાદ બનેલી ઘટનાઓ છે. જે ઘટનાઓને ટાંકી એમણે ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીને રજુઆત કરી છે.
સાંસદ વસાવાએ પત્રમાં જણાવ્યું છે કે, સરપંચની ચૂંટણીમાં BTP અને કોંગ્રેસના હારેલા ઉમેદવારોએ વિજેતા થયેલા ઉમેદવારો પર જીવલેણ હુમલાઓ કર્યા છે. ઝઘડિયા તાલુકાના દરિયા ગામે નવીન બાબુ વસાવા પર બી.ટી.પીના લોકોએ જીવલેણ હુમલો કર્યો હતો, આ ઘટનાને 5 દિવસ થયા છતાં પણ પોલીસે આ ગુનેગારોને પકડ્યા નથી કે ગામની મુલાકાત લીધી નથી. આવી જ રીતે નેત્રંગ તાલુકાના ઘોલેગામ તથા મુગજ મચામડી ગામે ખુબજ આતંક મચાવ્યો છે. ઝઘડીયાના આમલઝર ગામે ભાજપ કાર્યકર પર જીવલેણ હુમલો કર્યો તથા સિયાલી ગામે ભાજપ કાર્યકરની ટુ-વહીલર સળગાવી દીધી હતી. વાલિયા તાલુકામાં પણ આવી અનેક ઘટનાઓ બની છે. તેમ છતાં પોલીસ મુક પ્રેક્ષક બની ગુનેગારોને છાવરતી હોય એમ જણાઈ રહ્યુ છે.
વધુમાં તેમણે લખ્યું છે કે, કેટલીક જગ્યાએ પોલીસે ફરિયાદ દાખલ કરી ભાજપના આગેવાનોને ગુનેગાર ઠેરવવાનો પ્રયત્ન કર્યો છે. જો ગુનેગારો અને તોફાની તત્વોને ડામવામાં નહિ આવે તો જિલ્લામાં સીધા લોકો માટે હરવું ફરવું અઘરું થઈ પડશે. જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણી બાદ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પણ બિટીપી કોંગ્રેસની હાર થતા તેઓ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા તોફાનો મચાવે છે. સતાપક્ષ સાંસદે સીધી ગૃહરાજ્ય મંત્રીને રજુઆત કરવાનો જો વારો આવતો હોય તો સામાન્ય માણસે તો ન્યાય મળે એવું વિચારે પણ કઈ રીતે ? ત્યારે હવે એ જોવું રહ્યુ કે, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી વસાવાની આ રજુઆત કેટલી ગંભીર લઈ અને શુ કાર્યવાહી કરે છે.