યુનાઈટડ આરબ અમિરાત, અબુધાબીના ખાવલા આર્ટ એન્ડ કલ્ચરલ ફાઉન્ડેશન સંચાલિત અરેબિક કેલિગ્રાફી મ્યુઝિયમમાં ભરૂચના કલા સાધક કલાકાર ગોરી યુસુફ હુસૈનજીની કૃતિ કાયમ માટે આ વિશ્વ પ્રસિદ્ધ મ્યુઝિયમાં સ્થાન પામી છે. જે માત્ર ભરૂચ જ નહિ પણ ગુજરાત અને આખા ભારત વર્ષ માટે ગૌરવની બાબત છે.
ડો. લમિશ અલ કૈશ કે જેઓ ખાવલા આર્ટ એન્ડ કલ્ચરલ ફાઉન્ડેશન સંચાલિત અરેબિક કેલિગ્રાફી મ્યુઝિયમના ડાયરેકટર જનરલ છે. તેમની નિગરાની હેઠળ વિશ્વસ્તરીય કક્ષાની અરેબિક કેલિગ્રાફી આર્ટ વર્ક નું સિલેક્ટ કરવાની કામગીરી હતી. તેઓએ ભારતનું પ્રતિનિધિત્વ કરતાં સાધક કલાકાર ગોરી યુસુફ હુસૈનજી દ્વારા પ્રસ્તુત કલાકૃતિ સ્થાન પામી છે. જે માટે તેઓની 22 વર્ષની કલા સાધનાએ મહત્વની ભૂમિકા ભજવી છે.
ગોરી યુસુફ હુસૈનજીની કલા વિશેષતા એ છે કે તેઓ પહેલાં તો એક ઉમદા વ્યક્તિ છે. મિલનસાર સ્વભાવના તેઓ પુરાતન કેલિગ્રાફી કળામાં નિપુણ છે. તેઓની કલાશૈલીમાં પ્રાચીન કેલિગ્રાફીની બેનમૂન ઝલકના દર્શન થાય છે. તેઓ તેમની હાથ બનાવટના કાગળનો ઉપયોગ કરે છે. તેઓ જે રંગો ઉપયોગમાં લે છે તે હર્બલ રંગો હોય છે. આમ તેઓ બીજી રીતે પ્રકૃતિ પ્રેમી પણ છે. કુદરતી રંગોથી કેલીગ્રાફી કાર્ય કરવું એ મહેનત અને ધીરજ માંગી લે છે.
ગોરી યુસુફ હુસૈનજી દેશ વિદેશના આર્ટ એન્ડ કલ્ચર વિભાગ દ્વારા યોજાતા કેલિગ્રાફી પ્રદર્શનોનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે.
દુનિયા આખી જ્યારે કોરોના મહામારીથી ઝઝૂમતી હતી ત્યારે લોકડાઉન દરમિયાન કલાકારોનું મનોબળ વધે એ માટે તેઓએ ઓનલાઇન કલા પ્રદર્શનો યોજી દેશ વિદેશના કલાકારોને સંકલિત કરી તેઓનો ઉત્સાહ વધાર્યો છે અને તેઓની કલાને વિશ્વ ફલક ( મંચ) પર લાવવા માટે પ્રયત્ન કર્યો છે જે હજુ પણ ચાલુ જ છે. એ જણાવતા આનંદ થાય છે કે તેઓએ અત્યાર સુધી 12 થી વધુ દેશો સાથે ભારતનું કોલોબ્રશન કરી સંયુક્ત રીતે ઓનલાઇન કલા પ્રદર્શનો કરી ચૂક્યા છે. જેમાં દેશ વિદેશના થઈને 2000 થી વધુ કલાકારોનો અને તેમની કલાનો પરિચય કરાવી તેઓએ ભારત અને વિશ્વના દેશોની કલાને એક મંચ પર લાવવાની નિઃસ્વાર્થ કામગીરી કરી છે.
બીજું મહત્વનું એ છે કે તેઓ આવા પ્રદર્શન નિ:શુલ્ક યોજે છે. તેઓ છેલ્લા 22 વર્ષથી કેલિગ્રાફી કલા સાધના કરે છે. તેઓની આગવી પ્રાચીન કલા શૈલી દ્વારા તેઓએ બેનમૂન કેલિગ્રાફી કલાને વિશ્વ મંચ પર પ્રસ્તુત કરતાં આવ્યા છે. પ્રાચીન કલાને તેઓએ જીવંત રાખવા માટે અથાગ પ્રયત્નો કર્યા છે. તેઓ એક ઉમદા ગુરૂ પણ છે. તેઓ કલાકારોને યોગ્ય માર્ગદર્શન પણ પૂરું પાડે છે. નિસ્વાર્થભાવે તેઓ આ કલાને સતત જીવંત રાખવા માટે પ્રયત્નો કરતા આવ્યા છે. નિખાલસતા તેઓના આચરણમાં છલકાય છે.
મહત્વનું છે ખાલવા આર્ટ એન્ડ કલ્ચરલ ફાઉન્ડેશન યુનાઈટેડ આરબ અમિરાત અબુધાબી દ્વારા સંચાલિત આ વવિશ્વકક્ષાના મ્યુઝિયમમાં સ્થાન પામવા માટે સમસ્ત વિશ્વમાંથી કેલિગ્રાફી વિષય આધારિત કલાકૃતિઓ પસંદ કરવામાં આવી જેમાં ભારતમાંથી ભરૂચના ગોરી યુસુફ હુસૈનજી દ્વારા પ્રસ્તુત ઉત્કૃષ્ઠ કૃતિ જે હાથ બનાવટના કાગળ પર પ્રાકૃતિક રંગો અને પ્રાચીન શૈલીથી તૈયાર કરવામાં આવી હતી તે સ્થાન પામી છે. આ ગૌરવની વાત માટે તેઓને અભિનંદન અને વિનંતી કે તેઓ તેમની બેનમૂન કલાકારીને સમસ્ત વિશ્વ સુધી પ્રસરાવી ભરૂચ, ગુજરાત અને ભારતનું ગૌરવ વધાર્યું છે.