કોરોનાના કેસ ઘટવાને બદલે ગુજરાતમાં કોરોના કાબૂ બહાર જઈ રહ્યો છે. આવામાં સારવાર માટે વધુ તબીબોની જરૂર પડી શકે છે. તેથી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સાથે સંકળાયેલા ગુજરાતના જિલ્લા મથકો, નગરો અને મહાનગરોના ખાનગી ક્ષેત્રના તબીબોને રાજ્યમાં કોરોના સંક્ર્મણ નિયંત્રણ અને સંક્રમિતોની સારવારમાં વધુ સક્રિયતાથી જોડાવા અનુરોધ કર્યો છે.
મુખ્યમંત્રીએ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી નિવાસસ્થાનેથી વિવિધ જિલ્લા મથકોએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયેલા આઇ.એમ.એના તબીબો સાથે વાતચીત કરી હતી. સાથે જ તેમની સેવાઓ અને સહયોગ રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણ માટે મળે તે માટે પરામર્શ કર્યો હતો. ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના ડો. કેતન દેસાઇએ પણ વિવિધ જિલ્લા મથકોએ રહેલા તેમના એસોસિએશનના સભ્ય તબીબો સાથે વાતચીત કરીને મુખ્યમંત્રીની આ અપીલનો ત્વરીત પ્રતિસાદ આપવા માર્ગદર્શન આપ્યું હતું.