ગાંધીનગર– ગુજરાતમાં કોરોના વાયરસના ડર તેમજ લોકડાઉનના કારણે અજીબોગરીબ વિચારો આવતા હોય છે. સતત વાયરસના સમાચારો જોતાં લોકો ડિપ્રેશનમાં આવી જાય છે. મને કોરોના પોઝિટીવ થશે તો.. મને દાખલ કરવામાં આવશે તો… લોકો મારા અંગે શું વિચારશે… આવા સવાલો મનમાં ઘુમરાયા કરે છે તેથી તેવા લોકોને ઓનલાઇન માર્ગદર્શન આપવા માટે મનોચિકિત્સકોએ સુવિધા શરૂ કરી છે.
કોરોના વાયરસ વધુ ફેલાય નહીં તે માટે લોકડાઉન કરવામાં આવેલું છે તેથી લોકો અર્ધપાગલની જેમ બિહેવિયર કરતા થયાં છે ત્યારે મનોચિકિત્સકોનું કામ વધી રહ્યું છે. અમદાવાદ જેવા શહેરમાં મનોચિકિત્સકો ઓનલાઇન કન્સલ્ટીંગ કરી રહ્યાં છે. એક મનોચિકિત્સકના જણાવ્યા પ્રમાણે લોકડાઉનના આઠ દિવસ પછી અમદાવાદમાં માનસિક રોગી હોવાના 25 ટકા કેસો વધી રહ્યાં છે.
અમદાવાદમાં એક મુસ્લિમ મહિલા તેના જીવનના 15 વર્ષ પહેલાં જતી રહી છે. તે ભૂતકાળની વાતો કરે છે. પરિવારોને ઓળખી પણ શકતી નથી. હસે છે અને રડે છે. મહિલાના આવા વર્તનથી પરેશાન થયેલા પરિવારના સભ્યોએ મેન્ટલ હોસ્પિટલના મનોચિકિત્સકનો સંપર્ક કર્યો હતો.
સંપર્ક બાદ તેમને ધ્યાનમાં આવ્યું હતું કે કોરોના વાયરસ ના સમાચાર સતત જોવાના લીધે મહિલા માનસિક રીતે અસંતુલિત બની છે. આ બિમારીનું નામ ફીયર સાઈકોસિસ છે. મનોચિકિત્સકે પરિવારજનોની સલાહ આપી છે કે આ મહિલાને સારવાર માટે અહીં લાવવામાં આવે. આવો જ એક બીજો કેસ છે કેન્સરના સર્જનનો છે. આ કેન્સર સર્જને કોરોના વિશે ઓનલાઇન એટલું બધું સર્ચ કર્યું કે તેના લીધે તેમને વિવિધ પ્રકારના ખોટા વિચારો આવવા લાગ્યા હતા અને તેઓ તણાવમાં સરી પડયા હતા.
આ સ્થિતિ બાદ કેન્સર સર્જને મનોચિકિત્સકની સારવાર લેવી પડી હતી. મનોચિકિત્સકે કેન્સર સર્જનને સલાહ આપી હતી કે હકારાત્મક બાબતો વાંચો, ઇન્ટરનેટ જોવાનું બંધ કરો, યોગ અને કસરત કરો. આ સલાહના અમલ બાદ કેન્સર સર્જન તણાવમાંથી બહાર આવ્યા હતા. આ પછી તેમણે પોતાનું દવાખાનું પણ ફ્રી શરૂ કરી દીધું છે.
ત્રીજો એક કેસ વિદેશથી પરત આવેલા વસ્ત્રાપુરના એક યુવાનનો છે. વિદેશથી આવ્યા બાદ આ યુવાન 14 દિવસ માટે ઘરમાં છે. જો કે છઠ્ઠા દિવસે તે બહાર નીકળ્યો તો તેને વિચિત્ર અનુભવ થયો. મનોચિકિત્સકને ફોન કરીને કહ્યું કે તે જ્યારે ઘરની બહાર નીકળ્યો તો તેના પાડોશીઓ તેને કોઈ મોટો ગુનો કર્યો હોય તેવી નજરે જુએ છે. આ અંગે, મનોચિકિત્સકે તેને આ તમામ બાબતોને અવગણવાની અને હકારાત્મક અભિગમ અપનાવવાની સલાહ આપી હતી.
મનોચિકિત્સકો ના મતે કોરોનાવાયરસ ના લીધી લોકોમાં તણાવ જોવા મળે છે ખાસ કરીને, તેમને ભવિષ્યની ચિંતા રહે છે. અમદાવાદમાં લોકો મનોચિકિત્સકની સલાહ લઇ રહ્યાં છે