અમદાવાદ: દક્ષિણ આફ્રિકામાં જોવા મળેલ કોરોનાનું નવું વેરિઅન્ટ ઓમિક્રોન વેરિઅન્ટ હવે ધીમે ધીમે વિશ્વના અન્ય દેશોમાં પણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. શુક્રવારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કહ્યું કે કોરોનાનો આ નવો પ્રકાર 38 દેશોમાં ફેલાઈ ગયો છે. આ દરમિયાન ગઈકાલે શુક્રવારે યુકેથી અમદાવાદ આવેલા એક પ્રવાસીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર એલર્ટ થઈ ગયું છે. હાલ આ પ્રવાસીને ક્વૉરન્ટાઇન કરી દેવામાં આવ્યો છે.
તે ઉપરાંત કોવિડ પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવેલા યાત્રીઓને પણ કેન્દ્ર સરકારની ગાઇડલાઈન પ્રમાણે તમામ નિયમો પાળવાની સૂચના આપી દેવામાં આવી છે. હાલમાં અમદાવાદ તંત્ર ઓમિક્રોન વેરિઅન્ટને રોકવા માટે અગ્રેસર રીતે કામ કરી રહ્યું છે. એરપોર્ટ પર આંતરાષ્ટ્રીય ફલાઈટ (Ahmedabad International Airport)માં આવતા લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. હાઇરિસ્કવાળા દેશમાંથી આવતા તમામ યાત્રીઓના ફરજીયાત પણ ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે.
મળતી માહિતી અનુસાર શુક્રવારે યૂકેથી 222 પ્રવાસી ડાયરેક અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યા હતા. આ તમામ 222 પ્રવાસીઓના RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી એક પ્રવાસીનો RT-PCR ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.
આ પ્રવાસી અમદાવાદ બહારનો હોવાનું જાણવા મળ્યું છે. એવી પણ જાણકારી મળી છે કે આ પ્રવાસી યુકેમાં કોરોના પોઝિટિવ થયો હતો. જે બાદમાં 1 ડિસેમ્બરના રોજ તેનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવી ગયો હતો. આથી તેને યાત્રાની મંજૂરી આપવામાં આવી હતી. અમદાવાદ ખાતે તેનો RT-PCR ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. હાલમાં તેને સાવચેતીપૂર્વક ક્વોરન્ટાઈન કરી દેવામાં આવ્યો છે.
હાલ દર્દીના સેમ્પલને પુણે ખાતે જિનોમ સિક્વન્સિંગ માટે મોકલી દેવામાં આવ્યું છે. બીજી તરફ પ્રવાસીને નિયમ પ્રમાણે હોમ ક્વૉરન્ટિન સહિતની તમામ તકેદારી રાખવાની સૂચના આપી દેવામાં આવી છે.