ભરૂચ (earth quake in Bharuch) માં 2018 બાદ ફરી ભુકંપનો આંચકો અનુભવાયો છે. સોમવારે રક્ષાબંધનના તહેવારની સમી સાંજે અચાનક ધરા ધ્રુજવા લાગતાં લોકો ઘરોની બહાર દોડી આવ્યાં હતાં.
રક્ષાબંધનના તહેવારની ઉજવણીનો ભરૂચવાસીઓમાં ઉત્સાહ હતો તેવામાં સાંજે 5 વાગીને 20 મિનિટના અરસામાં થોડી સેકન્ડો માટે ભુકંપનો આંચકો અનુભવાયો હતો. ભરૂચ તથા નર્મદા જિલ્લામાં એપી સેન્ટર હોય તેવા અત્યાર સુધીમાં 18થી વધારે ભુકંપના આંચકા નોંધાઇ ચુકયાં છે. બંને જિલ્લામાં આવેલાં ભુકંપની મહત્તમ તીવ્રતા 5.4 જયારે ન્યુનતમ તીવ્રતા 2.6 રીકટર સ્કેલની નોંધાઇ છે. ભરૂચ જિલ્લામાં છેલ્લે 2018ની સાલમાં ભુકંપનો આંચકો અનુભવાયો હતો.
આ ભુકંપનું એપી સેન્ટર વાલીયા નજીક ભેંસખેતર અને ભમાડીયા ગામ વચ્ચે નોંધાયું હતું અને તીવ્રતા 3.7 રીકટર સ્કેલ રહી હતી. રક્ષાબંધનના દિવસે આવેલાં ભુકંપની તીવ્રતા 3.3 રીકટર સ્કેલ તથા એપી સેન્ટર ભરૂચથી દક્ષિણમાં સાત કીમી દુર હોવાનું જાણવા મળી રહયું છે.