કોરોનાની મહામારી અને લાંબાં સમયથી ચાલી રહેલા વાલીઓના ફી ના કકળાટ વચ્ચે ગુજરાત શિક્ષણ વિભાગે ક્લિયર કટ પરિપત્ર જાહેર કરીને શાળા સંચાલકો અને વાલીઓના તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવી દીધું છે. જેમાં શાળાઓની મસમોટી ફી ભરવા સામે વાલીઓને રાહત આપવામાં આવી છે.
ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા 16 જૂલાઈના રોજ એક પરિપત્ર જાહેર કરીને વાલીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સંચાલકોની તમામ સમસ્યાનું એક જ ઝાટકે નિરાકણ લાવી દીધું છે. જેમાં છેલ્લા ત્રણ મહીનાથી શાળાઓની મસમોટી ફી સામે લડત ચલાવી રહેલા વાલીઓનો વિજય થયો છે. કોરોનાના કપરા કાળમાં વાલીઓને ફી બાબતે રાહત આપતા સરકારે પરિપત્રમાં ચોખવટ કરી છે કે જ્યાં સુધી શાળાઓ વાસ્તવિક રીતે શરૂ નહીં થાય ત્યાં સુધી કોઈ પણ શાળા ફી ઉધરાવી શકશે નહીં. લોકડાઉન દરમિયાન શાળાએ કરેલા શિક્ષકો-કર્મચારીઓનો વેતન ખર્ચ હવે પછીના ફી નિર્ધારણ વખતે કમિટી દ્વારા ધ્યાનમાં રાખવામાં આવશે.
શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરાયેલા પરિપત્રમાં સંચાલકોને આપાયા સ્પષ્ટ આદેશો
- ગુજરાતમાં શાળાઓ જ્યાં સુધી વાસ્તવિક રીતે શરૂ ન થાય ત્યાં સુધી સંચાલકો એક પણ રૂપિયાની ફી વસૂલી શકશે નહીં.
- જે સ્કૂલોએ ચાલુ વર્ષે વાલીઓ પાસેથી ફી વસૂલ કરી છે અથવા તો એડવાન્સમાં ફી ભરાવી દીધી છે, તેમને ફી સરભર કરવામાં આવશે.
- શાળાઓ કોઈ પણ પ્રકારની ઈત્તર પ્રવૃતિની ફી વસૂલી શકશે નહીં. જે પ્રવૃતિઓ થતી નથી તેની કોી પણ પ્રકારની ફી વાલીઓ પાસેથી માંગી શકાશે નહીં.
- શાળાઓ દ્વારા શિક્ષકો અને કર્મચારીઓના વેતનનો જે કંઈ પણ ખર્ચ થયો છે તે હવે પછીના ફી નિર્ધારણ વખતે નક્કી કરવામાં આવશે.
- 2020-21 ના શૈક્ષણિક વર્ષમાં સંચાલકોએ કોઈ પણ પ્રકારની એકસ્ટ્રા ફી વસૂલવાની રહેશે નહીં.
- 30 જૂન 2020 સુધીની ફી નહીં ભરનારા વાલીના સંતાનોને સ્કૂલમાંથી દૂર કરી શકાશે નહીં. ૉ
ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા વાલીઓ પાસેથી શીાળાઓ શરૂ કરવી કે નહીં તે અંગે મંતવ્યો મંગાવવામાં આવ્યા હતા. જેમાં શાળાઓ શરૂ કરવી કે નહીં અને ક્યારે કરવી, તેમજ વાલીઓ શાળાઓ પાસેથી શું અપેક્ષા રાખે છે તે અંગે વાલીમંડળના મંતવ્યો મંગાવવામાં આવ્યા હતા. જેમાં વાલીઓએ જ્યાં સુધી કોરોનાનું સંક્રમણ હટે નહીં ત્યાં સુધી શાળાઓ શરૂ કરવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો હતો. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને શિક્ષણ વિભાગ દ્વારા મહત્વના નિર્ણયો લેવાયા છે.