ભરૂચ (Bharuch) અને અંકલેશ્વરને જોડતા ઐતિહાસિક ગોલ્ડન બ્રિજના (golden Bridge) માર્ગ પર 2 ફૂટનું ગાબડું પડતાં દોડધામ મચી જવા પામી હતી, ત્યારે બ્રિજ સાંકડો હોવાને પગલે ભારે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. અંકલેશ્વર અને ભરૂચ શહેરને જોડતા ગોલ્ડન બ્રિજના દક્ષિણ છેડે એટલે કે, અંકલેશ્વરથી ભરૂચ તરફ આવતા માર્ગ પર છેલ્લા એક અઠવાડિયાથી નાનું ગાબડું પડ્યું હતું. જોકે આજરોજ એકાએક 2 ફૂટ ઊંડું ગાબડું પડી ગયુ હતું જેના કારણે ગોલ્ડન બ્રિજ પરનો વાહન વ્યવહાર ખોરવાઇ ગયો હતો. જેમાં વાહન વ્યવહાર ઉપર અસર થતાં લોકો કલાકો સુધી ટ્રાફિક જામમાં અટવાયા હતા.
ઇ.સ. 1881માં બ્રિટીશ સરકારે તે સમયે રૂપિયા 45 લાખના ખર્ચે નર્મદા (Narmada) નદી ઉપર અંકલેશ્વર (Ankleshwar) અને ભરૂચ ને જોડતા બ્રિજનું નિર્માણ કાર્ય પૂર્ણ કરી બ્રિજને વાહન વ્યવહાર માટે શરૂ કરવામાં આવ્યો હતો, ત્યારે ગોલ્ડન બ્રિજને 139 વર્ષ પૂર્ણ થવા છતાં આજે પણ આ બ્રિજ ચોમાસામાં પુર સહિતની સ્થિતિમાં પણ અડીખમ ઉભો છે. ભરૂચની શાળા-કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સહિત અંકલેશ્વર અને ભરૂચ ની કંપનીઓમાં રોજગારી મેળવતા કર્મચારીઓ અવર-જવર કરવા માટે ગોલ્ડન બ્રિજનો ઉપયોગ કરે છે.