વિસનગરના કેસમાં દોષમુક્ત કરવાની માગ સાથે હાર્દિક પટેલે હાઇકોર્ટ સમક્ષ કરેલી અરજીમાં રાજ્ય સરકાર તરફથી એડવોકેટ જનરલે એવી દલીલ કરી હતી કે,‘લોકોની સેવા કરવા માટે ધારાસભ્ય કે સાંસદ બનવાની જરૂર નથી. મહાત્મા ગાંધી ક્યારેય ચૂંટણી લડ્યા નહોતા, તો પણ તેઓ દેશના રાષ્ટ્રપિતા બન્યા હતા. સામાજિક પ્રતિનિધિ હોવાથી અને લોકસભાની ચૂંટણી લડવી હોવાના કારણથી કોઇના દોષને સ્થગિત કરી શકાય નહીં. જો અરજદારને દોષિત ઠરાવવાના આદેશ પર સ્ટે ન અપાય તો તેમને શું નુકસાનકારક પરિસ્થિતિનો સામનો કરવો પડશે એ અરજદાર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું નથી.’ હાર્દિક તરફથી જણાવવામાં આવ્યું હતું કે,‘હાર્દિકને દોષિત ઠેરવવાના આદેશ પર શા માટે સ્ટે ન મૂકવો એની સ્પષ્ટતા સરકાર કરતી નથી.’ હાઇકોર્ટે બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ લેખિતમાં આ દલીલો રજૂ કરવાનું જણાવ્યું છે.
આ કેસમાં ગુરુવારે રાજ્ય સરકાર વતી એડવોકેટ જનરલ કમલભાઇ ત્રિવેદીએ એવી રજુઆત કરી હતી કે,‘કોઇ પણ આરોપીને દોષિત ઠેરવવા આવે ત્યારે તેના પર અસાધારણ સંજોગોમાં જ સ્ટે અપાવો જોઇએ. સ્ટે આપતા પહેલાં કોર્ટે તમામ પાસાંઓને ધ્યાનમાં લેવા જોઈએ. માત્ર જે કેસની વાત થાય છે તે પૂરતું જ નહીં પણ આરોપીના ગુનાહિત ઇતિહાસને પણ ધ્યાને લેવો જોઈએ. અરજદારને મહિલાઓ માટે કોઈ માન નથી અન્ય સમૂદાયો માટે કોઈ માન નથી. તેને કાયદાનો ડર ન હોય તે પ્રકારની વર્તણૂક કરે છે. લોકશાહીમાં જાહેર જીવનમાં આવનારા લોકો સ્વચ્છ છબી વાળા હોવા જોઈએ. આવા લોકો લોક પ્રતિનિધિત્વ કરે તે લોકશાહી માટે યોગ્ય નથી. ‘લો-બ્રેકર’(કાયદો તોડનાર)ને ‘લો-મેકર’(કાયદો ઘડનાર) કઇ રીતે બનાવી શકાય’