રાજકોટમાં સ્વામિનારાયણ સંપ્રદાયનાં પ્રમુખસ્વામી મહારાજની 98મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. માધાપર-મોરબી બાયપાસ પર આવેલા સ્વામિનારાયણ નગરમાં આ ઉજવણી કરવામાં આવી રહી છે. આ નિમિત્તે આજે બુધવારનાં રોજ મહંતસ્વામી અને રાજ્યનાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સ્વામિનારાયણ નગરને ખુલ્લુ મુકવામાં આવ્યું. ઉદ્ધઘાટન સમારંભમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા અધિકારીઓ અને ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા. અહીં અક્ષરપુરૂષોત્તમ મંદિરમાં મહંતસ્વામી મહારાજ તથા સીતા-રામ, રાધા-કૃષ્ણ, શિવ-પાર્વતી, લક્ષ્મી-નારાયણ મંદિરમાં સંસ્થાનાં વડિલ સંતો વિધિસર કાર્યક્રમ કરશે.
સ્વામિનારાયણ સંપ્રદાયનાં પ્રમુખસ્વામી મહારાજની 98મી જન્મજયંતિ નિમિત્તે રાજકોટમાં આજથી 11 દિવસ મહોત્સવ રહેશે, જેમાં ભક્તિ, ભોજન અને ભવ્યતાનો અનેરો સંગમ જોવા મળશે. અહીં 500 એકર જમીનમાં સ્વામિનારાયણ નગર તૈયાર કરવામાં આવ્યું છે. મહોત્સવમાં આવતા લોકોને કોઇ જ અગવડ ના પડે તે માટે 22 હજાર સ્વયંસેવકો ખડેપગે રહેશે. આ 11 દિવસમાં 700 સંતો-મહંતો અને 22 લાખ લોકો હાજરી આપશે. તો 22 દેશનાં NRI પણ આ મહોત્સવમાં હાજરી આપશે.