Gujarat: રાજકોટના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રુપાલાએ ક્ષત્રિયોના વિરોધની ઐસી તૈસી કરીને વટભેર ફોર્મ ભર્યું હતું. ફોર્મ ભરતા પહેલાં તેમણે જગન્નાથ મંદિરના દર્શન કર્યા હતા અને ત્યાર બાદ જાહેરસભાને સંબોધન કર્યું હતું.
રુપાલાએ જાહેરસભાને સંબોધન કરતા મોદી સરકારના ચૂંટણી ઢંઢેરા અંગેના સંકલ્પો ગણાવ્યા હતા. ખાસ કરીને 70 વર્ષના વડીલો માટે મોદી સરકારની આયુષ્યમાન કાર્ડ યોજનાનો ઉલ્લેખ કર્યો હતો. આ સાથે જ તેમણે કોમન સિવિલ કોડ લાગુ કરવાના સંકલ્પ અંગે પણ મોદી સરકારની પહેલના વખાણ કર્યા હતા.
તેમણે હાજર રહેલા નેતાઓ, કાર્યકરો, પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણી, સાંસદો, ધારાસભ્યો સહિત ઉપસ્થિત લોકોને વધુમાં વધુ મતદાન કરવાની અપીલ કરી હતી.
અંતે રુપાલાએ ક્ષત્રિય સમાજ માટે કહ્યું કે હું સમગ્ર ક્ષત્રિય સમાજને પણ નમ્રતાપૂર્વક વિનંતી કરવાનાં મતનો છું અમારે તમારા સાથની પણ આવશક્યતા છે. દેશના હિત માટે, રાષ્ટ્રના હિત માટે મોટું મન રાખીને ભાજપના સમર્થનમાં આપ સૌ પણ જોડાવો એવી નમ્ર વિનંતી છે.