Gujarat: રાજકોટમાં ક્ષત્રિય મહાસંમેલન યોજાયું છે. ક્ષત્રિય મહાસંમેલનમાં મોટી સંખ્યામાં લોકોના ઘોડાપુર ઉમટી પડ્યા છે. ત્રણ વિધાના મેદાનમાં હકડેઠઠ જવમેદની જોવા મળી રહી છે. ક્ષત્રિય મહાસંમેલનની માંગ છે કે ક્ષત્રિયોની અસ્મિતા કાજે ભાજપે રાજકોટ લોકસભાના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રુપાલાને આપીલ ટિકિટ પાછી ખેંચી લેવી જોઈએ. કોંગ્રેસ સમય પર સોગઠી મારીને અમરેલીના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના પૂર્વ વિપક્ષી નેતા પરેશ ધાનાણીને મેદાનમાં ઉતારી દીધા છે.
ક્ષત્રિય સમાજ ગુજરાતમાં બહોળી રીતે પ્રસરેલો છે. ક્યાંક સીધી રીતે તેમનુ વર્ચસ્વ છે
ક્યાંક તેમની નોંધપાત્ર હજારી છે તો ક્યાંક તેઓ મતદાનમાં નિર્ણાયક બની રહેનારા પુરવાર થયા છે. અલ્પેશ ઠાકોરે 2015માં શરુ કરેલા આંદોલનમાં ક્ષત્રિય સમાજે કોંગ્રેસની પડખે રહીને મતદાન કર્યું તો કોંગ્રેસને ખાસ્સો એવો ફાયદો થયો હતો.
હવે ફરી એક વાર ક્ષત્રિય સમાજની ધૂણી ધખાવા લાગી છે. ભાજપ સીધી રીતે પોતાના નેતા રુપાલાની પડખે છે. કારણ એ છે કે વોટના ગણિતમાં રુપાલા ક્યાંય પણ હારતા દેખાતા નથી. ભાજપની પાસે અકબંધ પાટીદાર વોટ છે અને એટલા માટે જ ભાજપની નેતાગીરીને રાહત છે.જોકે. કોઈ પણ પ્રકારની કચાશ કે કસર રાખ્યા વિના ભાજપ રાજકોટ લોકસભાને જીતવા માટે એડીચોટીનું જોર લગાવી દેશે.
હવે મૂળ પ્રશ્ન એ છે કે શું ક્ષત્રિય સમાજનો રુપાલા સામેનો આ વિરોધ વોટીંગ મશીનમાં કન્વર્ટ થશે કે કેમ?
અત્યાર સુધીના આંદોલનોની તરેહ જોતા અને ત્યાર બાદ આવેલી ચૂંટણીઓમાં એવુ મનાતું હતું કે હવે ભાજપનું ધોવાણ થશે પરંતુ એવું બન્યું નહીં અને ઉલ્ટાનું ભાજપ મજબૂત બનીને બહાર આવ્યું છે.ભૂતકાળમાં જેમ અન્ય સમાજોમાં બન્યું છે તેમ ક્ષત્રિય સમાજના વિરોધની વાત વોટ સુધી પહોંચતા પહોંચતા ક્યાંક ભટકી જવાની આશંકા નકારી શકાતી નથી.ક્ષત્રિય સમાજનો રુપાલા સામેનો વિરોધ કેટલો ટકી રહે છે તે પણ સવાલ છે. મતદાનના દિવસ સુધી રુપાલાની સામેનો વિરોધ રુપાલા વિરોધી વોટમાં રૂપાંતર થાય છે કે કેમ એ જોવાનું રહે છે.