Gujarat: લોકસભા ચૂંટણી 2024 માટે 16 આણંદ લોકસભા બેઠક પર કોંગ્રેસે ફરી એકવાર ક્ષત્રિય ઉમેદવાર અમિત ચાવડાને મેદાને ઉતાર્યા છે. સામા પક્ષે ભાજપ દ્વારા સાંસદ મિતેશ પટેલને રિપીટ કર્યા છે. ક્ષત્રિય સમાજનો રુપાલાના વિરોધનો પડઘો આ બેઠક પર પડી શકે છે. જોકે, NCPના જયંત પટેલ(બોસ્કી) પણ અહીંયાથી ચૂંટણી લડી રહ્યા હોવાથી ચૂંટણી જંગ ત્રિપાંખીયો બની ગયો છે.
આણંદ લોકસભા બેઠક વિસ્તારમાં ઠાકોર, ક્ષત્રિય, પરમાર અને રાઠોડ જ્ઞાતિના મતદારો સૌથી વધારે છે, બીજા ક્રમાંકે આણંદ જિલ્લામાં પાટીદાર સમાજનું વર્ચસ્વ પણ બરાબર જોવા મળે છે. ત્રીજા ક્રમાંકે મુસ્લિમ સમાજ, એસસી મતદાર અને સવર્ણો મતદારો સાથે અન્ય સમાજના મતદારોની પણ નિર્ણાયક સંખ્યા છે.
ભાજપ
આણંદ જિલ્લામાં ક્ષત્રિય ઉમેદવારોનું પ્રભુત્વ જોવા મળે છે. ત્યારે રાજકીય પક્ષો પણ ઉમેદવારની પસંદગી કરતા સમયે જ્ઞાતિવાદ પરિબળને ધ્યાને રાખે છે.
આણંદ લોકસભા બેઠક પર કુલ ચાર વખત પાટીદાર ઉમેદવારો વિજય મેળવવામાં સફળ થયા છે. તેથી સમીકરણો સ્પષ્ટ છે કે, જ્યારે હિન્દુત્વનો મુદ્દો આવે ત્યારે ભાજપ સીટ પ્રાપ્ત કરવામાં સફળ થાય છે. જોકે સામાન્ય ચૂંટણીઓમાં કોંગ્રેસ દ્વારા ક્ષત્રિય ઉમેદવારની પસંદગી કરવામાં આવે છે.
ભાજપ માટે ખતરાની ઘંટી એક માત્ર ક્ષત્રિયોનો વિરોધ છે. ક્ષત્રિય સમાજ, એસસી, એસટી. દલિત અને મુસ્લિમોનું સમીકરણ ભાજપ માટે ચિંતોનો વિષય બન્યો છે. રાજકોટમાં રુપાલાને વાંધો નહીં આવે પણ ક્ષત્રિય સમાજ આણંદની સીટ પર એનો જવાબ આપી બદલો વાળી શકેે છે. ભાજપ આ ડેમેજ કન્ટ્રોલમાં લાગી ગયું છે.
1957 માં ખેડા સાઉથ લોકસભા બેઠકમાંથી અલગ થઈને આણંદ લોકસભા બેઠક અસ્તિત્વમાં આવી છે. આ બેઠક પર પ્રથમ સાંસદ તરીકે સરદાર વલ્લભભાઈ પટેલના પુત્રી મણીબેન પટેલ ચૂંટાઈ આવ્યા હતા. જોકે 1951 માં પણ મણિબેન પટેલ ખેડા સાઉથ બેઠકના સાંસદ હતા.
આણંદ લોકસભા બેઠક પર મુખ્યત્વે કોંગ્રેસનું શાસન રહ્યું છે.
જેમાં પીઢ રાજકારણી અને સ્વાતંત્ર સેનાની ઈશ્વરભાઈ ચાવડા પાંચ વખત ચૂંટણી જીત્યા હતા. પરંતુ રામ મંદિરના પ્રચંડ મોજા બાદ 1989 માં ભાજપના નટુભાઈ પટેલ અને 1999 માં દીપક પટેલ સામે ઈશ્વરભાઈ ચાવડાની હાર થઈ હતી. ત્યારબાદ 2004 અને 2009માં કોંગ્રેસના ભરતસિંહ સોલંકી વિજય બન્યા હતા.
મોદી લહેર વચ્ચે 2014 લોકસભા ચૂંટણીમાં આણંદ બેઠક પરથી ભાજપના દિલીપભાઈ પટેલ વિજયી બન્યા હતા. લોકસભા ચૂંટણી 2014 બાદ યોજાયેલ સ્થાનિક સ્વરાજ્ય અને વિધાનસભાની ચૂંટણીઓ પૈકી કોંગ્રેસે આણંદ જિલ્લા પંચાયત તેમજ 8 પૈકી 6 તાલુકા પંચાયતોમાં જીત મેળવી હતી. ત્યારબાદ પાલિકાની ચૂંટણીમાં પણ 11 પૈકી 6માં અને 2017માં યોજાયેલ વિધાનસભા ચૂંટણીમાં 7 પૈકી 5 બેઠક પર કોંગ્રેસે જીત હાંસલ કરી હતી.
ભાજપ પક્ષે ઉમેદવાર બદલ્યા અને મિતેશ પટેલને મેદાને ઉતાર્યા. જેમણે કુલ 6,33,097 મત મેળવી 1,97,718 મતની લીડ સાથે કોંગ્રેસના ઉમેદવાર ભરતસિંહ સોલંકીને હરાવ્યા હતા, જેમણે 4,35,379 મત મેળવ્યા હતા.
2019 લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર મિતેશ પટેલે કોંગ્રેસના ભરતસિંહ સોલંકીને કારમી હાર આપીને ભાજપને ઐતિહાસિક જીત અપાવી હતી.
ત્યારબાદ આવેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસનું લગભગ જિલ્લામાંથી વોશ આઉટ થયું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. સ્થાનિક સ્વરાજ્ય અને વિધાનસભા ચૂંટણીઓ પૈકી કોંગ્રેસે આણંદ જિલ્લા પંચાયત તેમજ 8 પૈકી 7 તાલુકા પંચાયતમાં ભાજપ સામે હાર મેળવી હતી. ત્યારબાદ પાલિકાની ચૂંટણીમાં પણ 11 પૈકી 10માં અને 2022માં યોજાયેલ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને 7 પૈકી 5 બેઠક પર ભાજપે પરાજય આપ્યો હતો.
આણંદ લોકસભા બેઠકમાં કુલ 17,75,509 મતદારો નોંધાયા છે. જેમાં 9,05,954 પુરુષ મતદાર, મહિલા મતદાર 8,69,425 અને 130 અન્ય મતદારનો સમાવેશ થાય છે. આણંદ લોકસભા બેઠકમાં ખંભાત, બોરસદ, આંકલાવ, ઉમરેઠ, આણંદ, પેટલાદ અને સોજિત્રા એમ કુલ સાત વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. અહીં 2024 લોકસભા ચૂંટણી માટે કુલ 1819 મથદાન મથક પરથી કુલ 17.75 લાખ ઉપરાંત મતદારો મતદાન કરશે.