Gujarat: સુરત લોકસભા બેઠક પરથી ભાજપની જીતનું ખાતું ખુલી ગયું છે. કોંગ્રેસના ઉમેદવારનું નામાંકન ગેરલાયક ઠર્યા બાદ અને તમામ અપક્ષો અને અન્ય ઉમેદવારોએ ઉમેદવારી પાછી ખેંચી લેતા ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ જીત્યા હતા. આ સાથે સુરત બેઠક પર ચૂંટણી નહીં થાય. તેની સત્તાવાર જાહેરાત હવે પછી કરવામાં આવશે.
કોંગ્રેસના ઉમેદવારનું નામાંકન રદ્દ
સુરતમાં ચૂંટણી જંગે અણધાર્યો વળાંક લીધો જ્યારે 21 એપ્રિલે કોંગ્રેસ પક્ષના ઉમેદવારનું નામાંકન નામંજૂર કરવામાં આવ્યું. તમને જણાવી દઈએ કે ગુજરાતના મોટા ભાગના મતવિસ્તારોમાં બે પક્ષો કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જંગ છે. શરૂઆતમાં સુરત કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ઉમેદવારી ફોર્મમાં ટેકેદારો અને્ દરખાસ્તકારોની સહીઓમાં વિસંગતતા જોવા મળી હતી. જે બાદ તેમની ઉમેદવારી અમાન્ય બની હતી.ટેકેદારોએ એફિડેવિટ કરીને પોતાની સહી ન હોવાનું સોગંધનામું કર્યું હતું અને નિલેશ કુંભાણી ટેકેદારોને ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરવામાં નિષ્ફળ ગયા હતા.
તમને જણાવી દઈએ કે કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રિજેક્ટ થયા બાદ 9 ઉમેદવારો મેદાનમાં રહ્યા હતા, જેમાંથી BSPના ઉમેદવાર પ્યારેલાલ ભારતી અને 8 અન્ય અપક્ષ ઉમેદવારોએ પણ પોતાના નામ પાછા ખેંચી લીધા હતા અને ભાજપના મુકેશ દલાલ ચૂંટણી લડ્યા વિના જીતી ગયા હતા.
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં આ પહેલીવાર બન્યું છે જ્યારે કોઈ ઉમેદવાર બિનહરીફ ચૂંટણી જીત્યો હોય. મુકેશ દલાલ બિનહરીફ જીતનારા ભાજપના પ્રથમ ઉમેદવાર છે અને લોકસભાની ચૂંટણીમાં બિનહરીફ જીત મેળવનાર દેશમાં અત્યાર સુધીના 29મા ઉમેદવાર છે.