ગુજરાતમાં કોરોના વિસ્ફોટ થયો હોય તેવી સ્થિતિ સર્જાઈ ગઇ છે. ત્યારે રાજ્યમાં આજે સતત બીજા દિવસે પણ કોરોનાનાં 1000થી વધુ કેસો નોંધાયા છે. બુધવારનાં રોજ છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં આજે રેકોર્ડ બ્રેક નવા 1020 કોરોના કેસ નોંધાયા છે. જ્યારે આ જ સમયગાળામાં વધુ 28 દર્દીનાં મોત થયા છે. આરોગ્ય વિભાગની માહિતી પ્રમાણે રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 837 દર્દીઓ સારવાર લઈને સાજા થયા છે. એટલે કે અત્યાર સુધીમાં કુલ 34,237 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચૂક્યાં છે. જ્યારે રાજ્યમાં કુલ 12016 એક્ટિવ કેસ છે. આમ, રાજ્યમાં નવા 1020 કેસ નોંધાતા કોરોનાનાં કેસોનો કુલ આંક હાલમાં 51,485 એ પહોંચ્યો છે અને કુલ મૃત્યુઆંક 2229 એ પહોંચ્યો છે.
સુરતમાં કેવી છે કોરોનાની પરિસ્થિતિ?
અમદાવાદ બાદ હવે સુરતમાં કોરોનાને કારણે પરિસ્થિતિ વધુ વિકટ બનતી જઇ રહી છે. અમદાવાદ બાદ સૌથી વધુ કોરોના સંક્રમિત કેસ સુરતમાં નોંધાઇ રહ્યાં છે. આજે સુરતમાં 256 નવા કોરોનાનાં કેસ નોંધાયા છે. જેમાં સુરત કોર્પોરેશનમાં 201 અને સુરત જિલ્લામાં 55 કેસ નોંધાયા છે. આ સાથે સુરતમાં કોરોનાનો કુલ આંકડો 10,532 એ પહોંચ્યો છે. શહેરમાં આજે 160 દર્દીઓ સ્વસ્થ થયા છે. જેથી સ્વસ્થ થયેલા કુલ દર્દીઓનો આંકડો 7,223 એ પહોંચ્યો છે. સુરતમાં 19 દર્દીઓનાં આજે મોત થતા અત્યાર સુધીમાં કુલ 309 દર્દીનાં મૃત્યુ થયા છે. જ્યારે સુરતમાં હાલમાં કુલ 2997 એક્ટિવ કેસ છે.