Gujarat: રુખી સમાજના સંમેલનમાં વિવાદાસ્પદ નિવેદન બોલવાને આજે પંદર દિવસ થઈ ગયા પરંતુ ક્ષત્રિય સમાજ ભાજપના નેતા અને રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રુપાલાને માફી આપવાના મૂડમાં નથી. કાઠી ક્ષત્રિય સમાજે માફી આપી દીધી હોવાના અહેવાલ છે પણ સમાજના બહુવિધ સંગઠનો હજુ પણ આરપારની લડાઈ લડવાના મૂડમાં છે અને રુપાલાને ઉમેદવાર તરીકે પડતા મૂકવા માટે મક્કમ નિર્ધાર સાથે લડત ચલાવી રહ્યા છે.
ભાજપે રુપાલાની ટિકિટ અત્યાર સુધી કાપી નથી અને 16મીએ રુપાલાએ વાજતે ગાજતે ઉમેદવારી કરવાની તૈયારીઓ શરુ કરી દીધી છે. આનો મતલબ એ થયો કે ભાજપ હાઈકમાન્ડ રુપાલાની પડખે છે અને રુપાલા અંગે ભાજપ હાઈકમાન્ડ ક્ષત્રિયોની માંગણીને માનવાનો ઈન્કાર કરી રહ્યો છે.
રાજકારણમાં સર્વ સામાન્ય અને વણલખેયલો સિદ્વાંત છે કે જ્યારે જેની જરુર પડે ત્યારે તેને મહત્વ આપવામાં આવે અને જરુરિયાતની પરિપૂર્ણતા બાદ તે માણસને હાંસિયામાં ધકેલી દેતા વાર લાગતી નથી.
પક્ષની શિસ્તના નામે અનેકનો ભોગ લેવાયો છે.. તેમને ક્યાંય પણ માફી તો તેમના માટે દિલગીરીના બે શબ્દો પણ બોલવામાં આવ્યા નથી. ભાજપના અનેક નેતાઓ આજે શોધ્યે જડતા નથી. એક જમાનામાં જેમના નામના ડંકા વાગતા હતા અને જેમના નામના ફટાણા ગવાતા હતા તેવા નેતાઓ આજે કોઈકને રસ્તામાં મળી જાય તો માત્ર એક નિસાસો નાંખીને આગળ વધી જાય છે.
ગુજરાત ભાજપમાં માફી નહીં આપવામાં આવેલા નેતાઓની યાદી બહુ લાંબી છે. દરેક વખતે જે તે નેતાઓએ પોતાનો ક્કકો ખરો કરવામાં તેમના વિરોધી મનાતા નેતાઓ કે કાર્યકરોને ક્યારેય માફી આપી નથી.
જ્યારે શંકરસિંહ વાઘેલાએ બળવો કર્યો તો બળવા પાછળ તે વખતના ગુજરાત ભાજપમાં સુપ્રીમોની છાપ ધરાવતા કાશીરામ રાણાનો હાથ હોવાની ચર્ચા ચાલી હતી.
કેશુભાઈ જ્યારે બીજી વખત મુખ્યમંત્રી બન્યા તો અનેક નેતાઓએ કેશુભાઈને કાશીરામ રાણાને રાજકીય રીતે પુરા કરવા માટે રજૂઆતો કરી હતી. કેશુભાઈ ભાજપના નેતાઓની વાતો સાંભળીને એક દિવસ ભાજપના ઉચ્ચ નેતાને કહ્યું હતું કે કાશીરામભાઈને રાજકીય રીતે પુરા કરવા માટે પંદર મિનિટ જોઈએ અને પાર્ટીમાંથી હાંકી કાઢવા માત્ર ચાર લીટી કાફી છે પરંતુ કાશીરામભાઈ જેવા કાર્યકર દાયકાઓમાં પાકે છે. એટલે તેમને સમજાવીશું અને ભવિષ્યમાં તેઓ પાર્ટી વિરુદ્વ કોઈ કામ નહીં કરે તેના માટે પ્રયાસો કરીશું. આ કેશુભાઈ વખતની વાત છે. પરંતુ અત્યારે આવી ભલમનસાઈ મોટાઈ હવે જોવા મળતી નથી. પોતાના હરીફ નેતાઓ કે વફાદાર નેતાઓના વિરોધી કાર્યકરોને રીતસરના હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યા છે. માફી આપવાની વાત તો દુર રહી પણ તેમને ગણકારવામાં આવી રહ્યા નથી. તેમનું નામ સાંભળીને આજના નેતાઓ નાક-મોં ફુલાવીને મોઢું ફેરવી લેવામાં માને છે. રખે ને તેમના મોટા નેતાને ખબર પડી જાય કે ફલાણા નેતાએ એમના ફલાણા વિરોધી નેતા સાથે વાત કરી છે અથવા તો તેમનું કામ કર્યું છે.
સત્તાલક્ષી રાજકારણના માહોલમાં કેડર પર કેડર ખલાસ થઈ રહી છે.
કેડરને બચાવવા માટે કોઈ બેકઅપ પ્લાન નથી. જો માફી આપવાથી અને માફી લેવાથી રાજકારણમાં કામ પતી જતું હોય તો પછી દેકારા,હોકારા કરવાની જરુર રહેતી નથી. માફી આપી હોય તો કોઈ તમને માફ કરે, તમે જ કોઈને માફી આપી ન હો તો કોણ તમને માફ કરે. વાત બહુ નાજુક પણ સીધી છે.
ભાજપમાં માફી પુરાણનો સિલસિલો બહુ લાંબો છે. ભાજપ શું લગબગ મોટાભાગના રાજકીય પક્ષોમાં માફી પુરાણની હજારો કથાઓ જોવા મળે છે. ભાજપના રુપાલા તો એક માત્ર ઉદાહરણ છે. મુદ્દો એક જ છે કે રાજકારણમાં કોઈ કોઈને માફ કરતું નથી જ્યારે દાવ આવે છે ત્યારે દાવ લેવામાં જરા પણ વાટ જોવામાં આવતી નથી.