મુખ્યમંત્રી વિજય રૂપાણીના પ્રેરક અને ગતિશીલ નેતૃત્વમાં રાજ્ય સરકારે ઘર વપરાશ, ધંધાકીય તેમજ ખેતીવાડી હેતુના વીજ જોડાણ ધરાવતા નાગરિકોની લ્હેણી નીકળતી રકમ માટે રાજ્ય સરકારે રૂા. 625 કરોડથી વધુ રકમની અભૂતપૂર્વ અને ઐતિહાસિક માફી યોજના જાહેર કરી છે. રાજ્યના ઉર્જા મંત્રી સૌરભ પટેલે આ સંદર્ભે જણાવ્યું છે કે, રાજ્યના અંદાજે સાડા છ લાખ વીજ ગ્રાહકોને ‘ એક વખતની સંપૂર્ણ માફી યોજના’ નો લાભ મળશે.
ઉર્જા મંત્રી સૌરભ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે વધુ એક પ્રજાલક્ષી નિર્ણય લઇ, રાજ્યના ઘરવપરાશ, ધંધાકીય તેમજ ખેતીવાડી હેતુના વીજ જોડાણોની ભરપાઇ કરવાની બાકી નીકળતી રકમ ભરપાઇ કરવામાં રાહત આપતી માફી યોજનાની જાહેરાત કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધેલ છે. તદઅનુસાર ઘરવપરાશ, ધંધાકીય તેમજ ખેતીવાડી હેતુના કાયમી ધોરણે કપાયેલા વીજ જોડાણો વાળા વીજ ગ્રાહકો તેમજ હાલના ચાલુ વીજ જોડાણોમાં એક યા બીજા કારણોસર પુરવણી બીલો આપવામાં આવેલા હોય તેવા તમામ વીજ ગ્રાહકોને આ યોજનાનો લાભ મળી શકશે. માત્ર રૂા. 500/- જેવી તદન નજીવી રકમ ભરપાઇ કરી, વીજ બીલની રકમ તેમજ તેના વ્યાજની રકમ ભરપાઇ કરવામાંથી મુકિત મેળવી, નવીન વીજળી જોડાણ મેળવી શકશે.મઅને લગભગ રૂા. 625 કરોડથી વધુ રકમની માફી રાજ્ય સરકાર આપશે.
ઉર્જા રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આ યોજનાની વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, રાજ્યની ઉત્તર, મધ્ય, દક્ષિણ અને પશ્ચિમ ગુજરાત વીજ કંપનીના ગ્રામ્ય વિસ્તારના ઘર વપરાશના બી.પી.એલ. તેમજ નોન બી.પી.એલ. ઉપરાંત ખેતીવાડી અને કોમર્શીયલ વીજ જોડાણો ધરાવતા કુલ 6.22 લાખથી વધુ ગ્રાહકોને રાજ્ય સરકારની આ એક વખતની સંપૂર્ણ માફી યોજના અંતર્ગત માત્ર રૂા. 500 ભરવાથી તેમના મૂળ બીલની તથા વ્યાજની તમામ રકમ સંપૂર્ણાપણે માફ કરવામાં આવશે.
ઉર્જા મંત્રીએ જણાવ્યું હતુ કે, આ માફી યોજનામાં લાભ લેનારા વીજ ગ્રાહકોમાં જે વીજ ગ્રાહકોએ કરારિત વીજભાર કરતા વધુ વીજભાર જોડેલ હોય કે જેમની સામે જુદા જુદા કારણોસર વીજ ચોરીના કેસ કરવામાં આવેલ હોય તેમજ જે ગ્રાહકો આર્થિક પરિસ્થિતિના કારણે કે અન્ય કોઇપણ કારણસર વીજ બીલના નાણાં ભરપાઇ કરેલા ન હોય તેવા કલમ 126 અને 135 હેઠળના ગ્રાહકોનો પણ સમાવેશ કરવામાં આવેલ છે. આ ઉપરાંત આ ગ્રાહકોમાંથી ઘણાં વીજ ગ્રાહકોના વીજ જોડાણો કાયમી ધોરણે બંધ થઇ ગયા છે. આવા તમામ ગ્રાહકોને ફરીથી વીજ જોડાણ મળી શકશે. એટલું જ નહી, જેમના વીજ જોડાણો કપાઇ ગયેલા છે તેવા તમામ ગ્રાહકો માટે પણ આ યોજનાનો લાભ ઉપલબ્ધ થશે. ઉર્જા મંત્રીએ વધુમાં ઉમેર્યુ હતું કે, કાયમી ધોરણે બંધ થયેલા વીજ જોડાણોને ફરીથી ચાલુ કરી આપવાની કાર્યવાહી પણ કરવામાં આવશે.