Gujarat: સમગ્ર ગુજરાતના અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના રાજકારણમાં રૂપાલાના વિવાદાસ્પદ નિવેદન અને માફીના પ્રકરણે ભારે અફડાતફડી ઉહાપોહ મચી ગયા પછી ભાજપની નેતાગીરીએ રૂપાલાને હટાવી લેવાની ક્ષત્રિય સમાજની માંગણી સ્વીકારી નથી.
રૂપાલા પોતાનો પ્રચાર જોરશોરથી કરવામાં વ્યસ્ત થઈ ગયા છે ત્યારે ક્ષત્રિય સમાજે પોતાની એકમાત્ર માંગણીનો અસ્વીકાર થયો હોવાના પગલે આવનારા દિવસોમાં કેવી રીતે વિરોધ પ્રદર્શન કરવું, કેવી રીતે લડત ચલાવવી તે અંગેની રણનીતિ જાહેર કરી છે.
અમદાવાદમાં ક્ષત્રિય સમાજની કોર કમિટીની બેઠકમાં ૯ૅ૦ ઉપરાંતના સભ્યો-આગેવાનોએ ચર્ચા-વિચારણા કર્યા પછી લડતના કાર્યક્રમો જાહેર કર્યા છે. આ કાર્યક્રમોમાં સૌથી મોટી અને ગંભીર બાબત એ છે કે ક્ષત્રિય સમાજ રાજકોટની બેઠક ઉપર રૂપાલાને હરાવવા માટે તો કોઈ કસર નહીં છોડે, પણ સાથે સાથે સમગ્ર ગુજરાત અને ભારતમાં ભાજપના ઉમેદવારોનો ઉઘાડો વિરોધ, પ્રચાર કરશે અર્થાત્ હવે ક્ષત્રિય સમાજની લડત ભાજપ સામે શરૂ થઈ છે
કોર કમિટીએ જાહેર કરેલી વિગતો મુજબ દરેક જિલ્લામાં મહિલા સમ્મેલન, ઉપવાસ આંદોલન થશે.
ઘરે ઘરે જઈને ભાજપના હરીફ મજબૂત અને સક્ષમ ઉમેદવારને મત આપવાનો પ્રચાર કરવામાં આવશે. મતદારોને ભાજપ વિરૂદ્ધ વધુમાં વધુ મતદાન કરવા સમજાવાશે.
જાણવા મળતી વિગતો પ્રમાણે આગામી દિવસોની લડતમાં કયાંય કોઈ ઉગ્રતા ન આવે તે રીતે વિરોધ પ્રદર્શન કરી અન્ય સમાજના લોકોનો પણ સહકાર મેેળવવામાં આવશે. આમેય સરકાર દ્વારા કાળા વાવટા ફરકાવવા જેવા વિરોધ સામે પણ જેલની સજા જેવી જોગવાઈના અમલની જાહેરાત કરવી પડી છે !
ક્ષત્રિય સમાજની કોર કમિટી હવે આગામી દિવસોમાં સંપૂર્ણપણે લોકશાહી ઢબે, શાંતિથી વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી છે.
પણ તેની સાથે સાથે એવી ગણત્રી પણ મુકાઈ રહી છે કે ભાજપમાં રહેલા ક્ષત્રિય સમાજના કાર્યકર્તાઓ, સંગઠનના હોદ્દેદારો તેમજ ચૂંટાયેલા નેતાઓ એક પછી એક પક્ષમાંથી રાજીનામા આપે. અને તેની શરૂઆત ધોરાજી અને અન્ય મથકોમાં થઈ ચૂકી છે. આગામી દિવસોમાં સામૂહિક રાજીનામા આપવાની ચોક્કસ ફોર્મ્યુલા સાથે ભાજપ ઉપર પ્રેશર વધારવાનું શસ્ત્ર ઉગામાય તો નવાઈ નહીં? આ ઉપરાંત જે નેતાઓ ભાજપમાં છે તેઓ કોઈ કારણોસર પક્ષ છોડી શકે તેમ નથી અને ભાજપના ઉમેદવારો સાથે પ્રચારમાં ભાજપની વ્યૂહરચના પ્રમાણે આગળ રાખવામાં આવે છે તેવા નેતાઓ કેવી રીતે ક્ષત્રિય સમાજના સમર્થનમાં રહે છે તે જોવાનું રહ્યું? અંદરખાનેથી નિષ્ક્રિય રહેવું, પ્રચારથી અળગા રહેવું કે ભાજપ વિરુદ્ધ પ્રચાર કરવો તેવી ગડમથલનો રસ્તો પણ કાઢવા માટે ક્ષત્રિય સમાજે હિલચાલ શરૂ કરી હોવાનું જાણવા મળે છે.
અને સૌથી મહત્ત્વની અને ક્ષત્રિય સમાજને સૌનો ટેકો મળી રહે તેવી બાબત એ છે કે રણનીતિમાં કયાંય અશાંતિ સર્જાય કે બબાલ થાય તેવી હરકતોથી દૂર રહેવાની જાહેરાત કરી છે. કોર કમિટીએ લોકશાહી ઢબે ભાજપના ઉમેદવારોને પરાજીત કરવા મતના શસ્ત્રનો ઉપયોગ કરવાને સૌથી વધુ મહત્ત્વ આપી સુત્ર આપ્યું છે કે ‘અમારી શક્તિ અમારો મત’