ગાંધીનગર- રાજ્યસભાની ચૂંટણી માટે કોંગ્રેસના પાંચ ધારાસભ્યો જતાં રહેતા કોંગ્રેસે બીટીપીના ત્રણ ધારાસભ્યો અને એનસીપીના એક ધારાસભ્ય તરફ નજર દોડાવી છે. જો કે કોંગ્રેસનો પનો ટૂંકો પડે છે, કારણ કે આ ચાર પૈકી ત્રણ ધારાસભ્યો ભાજપને સમર્થન આપી ચૂક્યાં છે.
કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાએ એક એવો દાવ ફેંક્યો છે કે જેનાથી ભાજપ ચિંતિત તો નથી પરંતુ ટેન્શનમાં આવી ગયું છે. કારણ કે કોંગ્રેસના ધારાસભ્યોમાં જેટલી નારાજગી છે તેનાથી ચાર ગણી નારાજગી ભાજપના ધારાસભ્યોમાં એટલા માટે છે કે તેમની પાર્ટી સત્તામાં હોવા છતાં તેમના કામો થતાં નથી.
લલિત કગથરાએ કહ્યું હતું કે ભાજપના ત્રણ ધારાસભ્યો અમારા સંપર્કમાં છે, જે ક્રોસ વોટિંગ કરીને ભાજપનું ગણિત બગાડશે. બીટીપીના મત ભાજપને જ મળશે તેવુ ચર્ચાઈ રહ્યું છે, પરંતુ એવું કંઈ નથી. બીટીપીના મત અમને પણ મળી શકે છે અને આખી બાજી પલટાઈ શકે છે. તેમણે કહ્યું કે હતું કે, બીટીપીને પોતાનો મત કોને મત આપવો તે તેમનો વિષય છે. ભાજપ ધારાસભ્યોને ધાકધમકી આપીને હેરાન પરેશાન કરે છે. તેઓ ધારાસભ્યોને મોટી રકમ આપીને ખરીદે છે. તેમણે એવું પણ જણાવ્યું કે, હું નિમ્નકક્ષાના રાજકારણમાં આવ્યો તેનો મને ખુબ જ પસ્તાવો છે.
જ્યારે ધારાસભ્યોને રાજસ્થાન લઈ જવાનું કારણ પુછ્યું ત્યારે તેમણે જણાવ્યું કે, ભાજપના નેતાઓ અમારા ધારાસભ્યોને હેરાન પરેશાન કરે છે, એટલે અમે રાજસ્થાન ગયા છીએ. ભાજપ હવે પહેલાનું ભાજપ નહીં, પણ રંગા બિલાનું ભાજપ બની ગયું છે. જો અમે મોજમજા કરવા અહીં આવ્યા હોત તો અમે ત્રણ દિવસ પહેલા અહીં આવી ગયા હોત. ગાંધીનગરનું સત્ર ટૂંકાવીને અમે અહીં આવ્યા છીએ, પરંતુ મને પસ્તાવો થાય છે કે હું નિમ્ન કક્ષના રાજકારણમાં આવ્યો છું.
ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી 26મી માર્ચે થવાની છે. ભાજપના બે અને કોંગ્રેસના બે ઉમેદવારો મેદાનમાં છે. ભાજપે ત્રીજા ઉમેદવાર તરીકે નરહરિ અમીનને મેદાનમાં ઉતાર્યા હોવાથી કોંગ્રેસના મતોમાં ગાબડું પડવાની સંભાવના સાથે આઠ થી દસ ધારાસભ્યો રાજીનામા આપીને ભાજપમાં જોડાય તેવી ચર્ચા ચાલતી હતી પરંતુ કોંગ્રેસે પાંચ રાજીનામાં પછી તેમના ધારાસભ્યોને કોર્નર કર્યા છે.
રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકી તેમજ ભાજપમાંથી અભય ભારદ્વાજ અને રમિલા બારા સત્તાવાર ઉમેદવાર છે. બન્ને પાર્ટીમાં બીટીપીના ત્રણ અને એનસીપીના એક ધારાસભ્યનું સમર્થન લેવા હોડ ચાલી રહી છે. અપક્ષ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી તો કોંગ્રેસને સપોર્ટ કરી ચૂક્યાં છે પરંતુ એનસીપી અને બીટીપીનું ગોઠવાયું નથી. બીટીપીના સુપ્રીમો હાલ સારવાર હેઠળ હોસ્પિટલમાં છે તેમનું સ્ટેન્ડ ક્લિયર છે પરંતુ તેમના બે સાથીદારોનું નક્કી નથી.