Gujarat: ભારતનું ઐતિહાસિક બંદર શહેર પોરબંદર અનેક કારણોસર પ્રખ્યાત છે પરંતુ સૌથી મહત્વનું કારણ એ છે કે મહાત્મા ગાંધીનો જન્મ અહીં થયો હતો. પોરબંદરના લોકો ગરમ અને સરસ છે. તેઓ ખૂબ જ સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો ધરાવે છે. પોરબંદર એ સંત સુદામા, ભગવાન “કૃષ્ણ” ના મિત્ર મિલનું પ્રતિક છે તો સાથો સાથ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું જન્મ સ્થળ છે. ગાંધીજીએ અહીંથી જ વિશ્વને અહિંસાનો પાઠ શીખવ્યો હતો.
બીજા પાસાને જોઈએ તો પોરબંદર સરમણ મુંજા જેવા ગેંગસ્ટર માટે પણ કુખ્યાત બન્યું હતું. ગેંગવોર ફૂલીફાલી હતી. સરમણ મુંજાની હત્યા બાદ તેમના પત્ની સંતોકબેન જાડેજા માટે પણ પોરબંદર પ્રખ્યાત બન્યું. સંતોકબેન જાડેજાને ગોડમધર તરીકેની ઓળખ મળી હતી અને તેમના જીવન ચરિત્ર પરથી શબાના આઝમી અભિનિત ફિલ્મ ગોડમધર પણ બની હતી.તેમનો પુત્ર કાંધલ જાડેજા પણ ધારાસભ્ય રહ્યા.
પોરબંદર વિધાનસભાની પેટાચૂંટણીમાં એક વખતનાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અને હવે પાક્કા ભાજપી બનેલા અર્જુન મોઢવાડિયા ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી જંગમાં છે તો કોંગ્રેસે યુવાન એવા રાજુ ઓડેદરાને મેદાને જંગમાં ઉતાર્યા છે. મેર, આહિર અને પાટીદાર, ખારવા સમાજ, માછીમાર સમાજ, કોળી સમાજ મુખ્ય છે. જોકે પાટીદાર સમાજના મતદારો વધું છે. પોરબંદર વિધાનસભાની પેટાચૂંટણી માટે લોકસભાની સાથે સાતમી જૂને મતદાન યોજાશે.
ભાજપના ઉમેદવાર અર્જુન મોઢવાડિયા વિશે…..
17 ફેબ્રુઆરી 1957ના રોજ પોરબંદરના મોઢવાડા ગામે થયો હતો. સામાન્ય ખેડૂત પરિવારમાં એક ભાઈ અને બે બહોનો સાથે તેમણે પોતાનું બાળપણ વિતાવ્યું. બાળપણ જ અર્જુનભાઈને લોકો પ્રત્યે નમ્રતા અને સમ્માનના ગુણો વિકસાવી લીધા હતા. ખેડૂત પુત્ર હોવાના કારણે અર્જુનભાઈ કઠોર પરિશ્રમનું મહત્વને સમજે છે એટલે જ તેઓ અભ્યાસ પૂર્ણ થયો ત્યાં સુધી પોતાના પિતાને ખેતી કામમાં મદદ કરતા હતા. જમીની સ્તર પર કામ કરવાનો અનુભવ આજે પણ તેમને જમીન સાથે જોડેલા રાખે છે.
અર્જુન મોઢવાડિયાનું રાજકારણ અહેમદ પટેલથી જ શરુ થયું અને અહેમદ પટેલ પર જ ખતમ થઈ જાય છે. મોઢવાડિયા અહેમદ પટેલના વિશ્વાસુ નેતાઓ પૈકીના એક હતા. કોંગ્રેસે તેમને કદ પ્રમાણે આપવા યોગ્ય બધું જ આપ્યું હતું તેમના જાહેર જીવનને જોઈએ તો તેઓ પોરબંદરમાં અનેક સામાજિક સંસ્થા અને સેવાકીય ટ્રસ્ટો સાથે વર્ષોથી સંકળાયેલા છે. તેઓ અભ્યાસે મિકેનિકલ એન્જિનિયર છે અને વ્યવસાયે આસિસ્ટન્ટ એન્જિનિયર એવા અર્જુન મોઢવાડિયાએ 1993માં નોકરી છોડીને રાજકારણમાં ઝંપાલાવ્યું હતું. 27 વર્ષના પોલિટિકલ કરિયરમાં તેમણે ક્યારેય સત્તાનો સ્વાદ ચાખ્યો નથી. કારણ કે ગુજરાતમાં 1995થી ભાજપની સત્તા ચાલી આવે છે.
અર્જુન મોઢવાડિયા 1997માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા હતા.2002માં વિધાનસભાની ચૂંટણી લડ્યા અને જીત્યા 2002 માં તેઓ ગુજરાત (સંસદીય અને વિધાનસભા મતવિસ્તારો) માટે ભારતના સીમાંકન આયોગના સભ્ય બન્યા. તેમને અંદાજ સમિતિના સભ્ય તરીકે પણ તેમને નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ 2004 થી 2007 સુધી ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા રહ્યા હતા. તેઓ 2007માં ફરી ચૂંટાયા હતા અને 2008 થી 2009 સુધી તેઓ મીડિયા સમિતિના અધ્યક્ષ અને GPCCના મુખ્ય પ્રવક્તા પણ હતા. 2 માર્ચ 2011ના રોજ, તેમની GPCCના 27મા પ્રમુખ તરીકે પસંદગી કરવામાં આવી હતી.
વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની હાર બાદ 20 ડિસેમ્બર 2012ના રોજ તેમણે GPCCના પ્રમુખ પદેથી રાજીનામું પણ આપી દીધું હતું ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવાર બાબુ બોખીરિયા સામે તેઓ 2017માં વિધાનસભા ચૂંટણીમાં હારી ગયા હતા. 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તેઓ તેમના નજીકના હરીફ અને ભાજપના ઉમેદવાર બાબુ બોખીરિયાને હરાવીને કોંગ્રેસના ઉમેદવાર તરીકે ફરીથી પોરબંદર વિધાનસભામાંથી ચૂંટાયા હતા.બાબુ બોખીરિયાએ હવે અર્જુન મોઢવાડિયા માટે રેડ કાર્પેટ પાથરવી પડી રહી છે. મોઢવાડિયા જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે બન્ને નેતાઓએ એક બીજા પર ખાસ્સા એવા અને ગંભીર પ્રકારના આક્ષેપો અને પ્રતિ આક્ષેપો કર્યા હતા. હવે હાઈકમાન્ડના આદેશથી બોખીરિયાએ મોઢવાડિયાને જીતાડવા માટે રાત દિવસ એક કરવાનો વારો આવ્યો છે.
અર્જુન મોઢવાડિયાના કારણે કોંગ્રેસ પોરબંદરના 20 જેવા મહત્વના સંગઠનના સારા લોકો ભાજપમાં જતાં રહ્યાં હતા.
પોરબંદરની કેડરને ભાજપમાં મોકલીને હવે તેઓ ભાજપમાં પહોંચી ગયા છે. અનિલ મોતીવરસ, રાજેશ પાંજરી, ખીમજી ભાઈ સહિત સાગરશક્તિ દળ અને અખાડા ગ્રુપના કાર્યકરો અને ખીમજી ભાઈ પ્રેમજીપઢું, મોહન ખોખરી, અશોક ભાદ્રેચા કાંતિ કાણકીયા ભાજપમાં જોડાઈ ચૂક્યા છે. ભીમભાઈ ઓડેદરા હાલ ભારતીય જનતા પાર્ટીમાં હોદ્દેદાર છે. મોહન મોઢવાડીયા અવગણના થતા ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ ચૂક્યા છે. ભાનુભાઈ ઓડેદરા નિષ્ક્રિય થઈ ગયા છે.
કોલીખડા અને બખરલાના કોંગ્રેસ પ્રેરિત સરપંચ દેવા મારુ અને અરસી ખૂટી ભાજપમાં જોડાઈ જતા 45 માંથી 41 ગ્રામ પંચાયત પર ભાજપની વિચારધારા છેલ્લા 15 વર્ષથી છે. ખંભોદર ઓઘડભાઈ, દિલીપ ગોઢાણીયા ભાજપ જોડાઈ ચૂક્યા છે અને તાલુકા પંચાયતની માત્ર ત્રણ બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર છે. નગરપાલિકાની 42માંથી 39 બેઠક પર ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલર છે, જેમાંના અડધા કોંગ્રેસ છોડી ચૂક્યા છે.
2022ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે અર્જુન મોઢવાડિયાને 82056 વોટ મળ્યા હતા. ભાજપના ઉમેદવાર બાબુભાઈ બોખીરીયાને 73875 અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર જીવન જંગીને 5319 વોટ મળ્યા હતા. આઠ હજાર કરતાં વધુની લીડથી મોઢવાડિયા ચૂંટણી જીતી ગયા હતા પણ તેમણે 2024 શરુ થતાંની સાથે કોંગ્રેસને રામ રામ કર્યા અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપી ભાજપના ઉમેદવાર બન્યા છે.
કોંગ્રેસના ઉમેદવાર રાજુ ઓડેદરા વિશે…
પોરબંદરના ફટાણા ગામના ખેડૂત પરિવારમાં 11 ઓક્ટોબર 1985માં રાજુ ઓડેદરાનો જન્મ થયો હતો. તેઓ પીજી ડી ઈન વેલ્યુ એજયુકેશન એન્ડ સ્પિરિચ્યુઆલીટી (2015), માસ્ટર ઓફ લેબર વેલ્ફેર એમ એલ ડબ્લ્યુ (2008)સૌરાષ્ટ્ર યુનિવર્સીટી, ડિપ્લોમા હ્યુમન રિસોર્સ ડેવલોપમેન્ટ (2008) AIIMAS ચેન્નઈ ડિસ્ટન્સ એજ્યુકેશન અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી જ બેચલર ઓફ કોમર્સ (2006)નું શિક્ષણ લીધેલ છે.
પોરબંદર વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર રાજુ ઓડેદરા 2003થી કોંગ્રેસમાં છે. જોડાયા છે. તેમણે પક્ષમાં વિવિધ હોદ્દા સાંભળેલ છે. વર્તમાનમાં તેઓ પોરબંદર જિલ્લા કૉંગ્રેસ સમિતિના પ્રમુખ છે. અર્જુન મોઢવાડિયા સાથે પણ રાજુ ઓડેદરાએ કામ કરેલ છે. શરૂઆતમાં તેઓ તાલુકા એનએસયુઆઈ વર્કરથી લઈ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તથા પોરબંદર જિલ્લાના આઈટી સેલ કૉંગ્રેસના પ્રમુખ, તાલુકા અને જિલ્લા પંચાયત ચુંટણીમાં ફટાણા જિલ્લા પંચાયત સીટના પ્રભારી, ઓલ ઈન્ડિયા કૉંગ્રેસ સેવાદળમાં ટ્રેનર પણ રહી ચૂક્યા છે. તેઓ પ્રાઈવેટ કંપનીમાં મેનેજર તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે.