Gujarat : ગુજરાત કોંગ્રેસમાં લોકસભાની ચૂંટણીને લઈ ભારે ગડમછલ ચાલી રહી છે. ભાજપે 26 બેઠકો પર 26 ઉમેદવાર જાહેર કરી દીધા છે. લોકસભા ચૂંટણી સત્તાવાર જાહેર થઈ તે પહેલાથી દરેક પક્ષ ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા કરતો હોય છે, છતાં ચૂંટણીની તારીખો જાહેર થયાના દસેક દિવસો બાદ પણ કોંગ્રેસ ગુજરાતની સાત બેઠક પર નામ જાહેર કરી શકી નથી જ્યારે ભાજપે તમામ 26 બેઠક પર ઉમેદવાર જાહેર કરી દીધા છે.
કોંગ્રેસે ગુજરાતમાં આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કર્યું હોવાથી ભરૂચ અને ભાવનગર એમ બે બેઠક પરથી તેના ઉમેદવારો જાહેર થઈ ચૂક્યા છે જ્યારે કોંગ્રેસે હજુ સાત બેઠક પર ઉમેદવારની જાહેરાત કરવાની બાકી છે.
આનું એક કારણ એ છે કે પક્ષના ઘણા નેતાએ લોકસભાની ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો છે. આ નેતાઓમાં પરેશ ધાનાણી (અમેરલી), પ્રતાપ દુધાત (રાજકોટ), ભરતસિંહ સોલંકી (આણંદ), જગદીશ ઠાકોર (બનાસકાંઠા-પાટણ)નો સમાવેશ થાય છે. આ સાથે અમદાવાદ પૂર્વથી રાહુલ ગુપ્તાએ લડવાની ના પાડી પક્ષને જ રામરામ કહી દીધા છે.
પરેશ ધાનાણીએ સ્પષ્ટ રીતે ચૂંટણી નહીં લડવાનું જણાવ્યું છે.પ્રતાપ દુધાતે પણ ઈન્કાર કર્યો છે. જ્યારે શૈલેષ પરમારે મને નહીં બીજા કોઈને તક આપવાનું કહ્યું છે. ભરતસિંહ સોલંકી બે વખત ચૂંટણી હાર્યા પણ હવે તેમના પિતરાઈ ભાઈ અને ધારાસભ્ય અમિત ચાવડાને ટિકિટ આપવામાં આવી છે. જગદીશ ઠાકોરે નવા ચહેરાને તક આપવાનું બહાનું કાઢ્યું છે.તો હિમતસિંહ પટેલે પણ યુવા ચહેરાને તક આપવાના કારણ હેઠળ ચૂંટણી નહીં લડવાનો ઈન્કાર કર્યો છે.
કૉંગ્રેસે સાત બેઠકો પર મજબૂત નેતાને પસંદ કરવા બાબતે મથામણ કરવી પડે તેમ છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ ચૂંટણીનું મેદાન છોડી દેતા કોંગ્રેસ માટે વિમાસણની સ્થિતિ સર્જાઈ છે. હવે કોંગ્રેસે તમામ સીટો પર નવેસરથી મંથન કરવાનો વારો આવ્યો છે. નેતાઓ દ્વારા લોકસભા ચૂંટણી નહીં લડવાના જે કારણો આપવામાં આવ્યા છે તેનાથી કોંગ્રેસ હાઈકમાન્ડ પણ અચંબામાં પડી ગયું છે. નેતાઓએ ચૂંટણી નહીં લડવા માટે અનિચ્છા દર્શાવી, તો કોઈકે અંગત કારણ આપ્યું તો કોઈકે અસક્ષમ હોવાનું કારણ આપ્યું. પણ સરવાળે બાદબાકી એ છે કે કોંગ્રેસના નેતાઓએ યેનકેન રીતે મોવડી મંડળને ઉઠા ભણાવીને ચૂંટણીનું મેદાન છોડી દીધું છે.