ધીમા અને મક્કમ પગલે પ્રવેશી રહેલ શિયાળો હજુ જામ્યો નથી. તો ગરમીએ પણ વિદાય લીધી નથી. પબ્લિક હજુ રજાના મૂડમાં છે. તો બીજી તરફ ધાર્યા મુજબ ચુંટણીઓની તારીખ જાહેર થઇ નથી. પરંતુ તેમછતાં ચુંટણીયો માહોલ બરાબર જામ્યો છે. તોડ-જોડની રાજનીતિ ચરમસીમાએ છે. લોકો પણ આ ચુંટણી પૂર્વની જોડ-તોડ અને ખરીદ-વેચાણની લીલાઓ જોઈ રહ્યા છે. કોંગ્રેસે હાર્દિક, અલ્પેશ ઠાકોર, જીગ્નેશ મેવાનીને એક મંચ પર લાવી ચુંટણીનો લલકાર કર્યો છે. તો સામે છેડે ભાજપ પણ આ નવા રચ્યેલા ચોકાથી વિસ્ફારિત છે. ત્યારે કહેવાનો સ્પષ્ટ આશય છે કે, લોકો બિચારા અસમંજસમાં છે કે આ ચુંટણીમાં એમનો રોલ છે શું?
કેમ કે, જે અનામત આંદોલન માટે લોકજુવાળ એકઠો થયો હતો અને એમના વતી જેમને પ્રતિનિધિ બનાવાયા હતા એ તો અરસ- પરસ ની રાજનીતિમાં લાગી એકબીજા પર કીચડ ઉછાળી રહ્યા છે. અને જ્યાં ફાયદો દેખાયો છે તે પક્ષના જન્પ્રતિનિધિ બની રાજકારણમાં આવવા ઉતાવળા બન્યા છે. ત્યારે લોકો માટે આ જ વિમાસણ છે. કેમ કે, એમને રેશમા પટેલ, વરુણ પટેલ કે હાર્દિક પટેલ ને રાજનીતિમાં મોકલવા તો સમાજના પ્રતિનિધિ નોતા બનાવ્યા ને?? ભાજપાએ પાટીદાર સમાજમાં ફાડ પાડવા રેશમા પટેલ અને વરુણ પટેલને ફક્ત ૨ જ દિવસમાં ખાસ કોઇપણ પ્રકારની પૂર્વ તૈયારી વિના સામેલ કરી દિધા. ત્યારે એમને ખ્યાલ નોતો કે, મહેસાણાના પાસ ના નરેન્દ્ર પટેલ આમ ભાજપા સામે ખુલ્લો મોરચો માંડશે. હવે વાતમાં કેટલું તથ્ય છે એ તો તપાસનો વિષય છે.
પરંતુ આ સમગ્ર મામલામાં કોઈ પાટીદારોને પણ પૂછે કે, શું તેમના નેતાઓને એમને આમ રાજનીતિમાં સામેલ થવા મોકલ્યા હતા? તો જી ના, કેમ કે, રેશમા અને વરુણ પટેલ મોડાસાની એક સભામાં મોદીને ભરપુર ગાળો બોલી ભાજપ વિરોધી સુર પ્રગટ કરી ચુક્યા છે. તો હાર્દિક પણ પોતે ચુંટણી નહી લડે એવું બોલી ચૂકેલ છે. તો ઓબીસી નેતા અલ્પેશ ઠાકોર પહેલેથી જ કોંગ્રેસ સાથે છે. તો આ બધી નાટકબાજી આખરે શું નિર્દેશ કરે છે? શું આ નેતાઓ ને પબ્લિક મુર્ખ લાગે છે?
ત્યારે એટલું સમજી લો કે , આ બધો ખેલ જેમને પાર પાડવો છે તેઓ પાડી ચુક્યા છે. અને ભાજપ પર ભલે હાલ ગમે તે આક્ષેપ થઇ રહ્યા હોય પરંતુ કોંગ્રેસ અને ભાજપ તેમના મતો અંકે કરવાની રણનીતિમાં મોટાભાગે સફળ થયા છે.
અને એની પાછળનું સીધું કારણ છે ગુજરાતના રાજકારણ માં બક્ષીપંચના કુલ મતદારોની સંખ્યા ૫૧ % જેટલી થવા જાય છે. જેમાં ૧૪.૫ % ઠાકોર, એસ.સી મતદારોની સંખ્યા ૭.૫ %, મતલબ સાફ છે કે વિધાનસભાની ૧૮૨ સીટો માંથી ૧૧૨ બેઠકો પર ઓબીસી મતદારોનું પ્રતિનિધિત્વ છે. ત્યારે તડ-જોડ કરવી એ દરેક પક્ષની મજબૂરી બને તેમ સમજી શકાય તેમ છે. અને આ બધો કકળાટ અને નાટકબાજી એના લીધે જ છે. બાકી કોઇપણ જ્ઞાતિ સીધી આ નાટકમાં સામેલ નથી. ત્યારે હવે જોવાનું એ રહે છે કે, એમના પ્રતિનિધિઓ જે હુકાર કરી રહ્યા છે એમાં કેટલું તથ્ય છે….
અને પબ્લિક એમને સાચે ન સપોર્ટ કરે છે કે કેમ ? કેમ કે પાટીદારોને અંદર ખાને એમના નેતાઓના તોડપાણીથી આઘાત લાગ્યો છે. આખરે એમણે આવી અપેક્ષા તો નોતી રાખી કે ના તો કોઈ પક્ષના સોદાગર બનવા એમને પ્રતિનિધિ બનાવ્યા હતા..
રીના બ્રહ્મભટ્ટ