10 ટકા ગરીબ સવર્ણ અનામત માટેનું બિલ લોકસભામાં પાસ થયા બાદ આજે રાજ્યસભામાં પણ પાસ થવા માટે ચર્ચા ચાલી રહી છે. આવામાં 10 ટકા સવર્ણ અનામત પર પાટીદાર નેતા હાર્દિક પટેલે પોતાની પ્રતિક્રિયા આપી હતી. જેમાં સૌથી મોટી જાહેરાત કરતા હાર્દિક પટેલે કહ્યું હતું કે જો આ અનામત લાગુ થાય તો હું મારું આંદોલન પૂર્ણ કરી દઈશ. પરંતુ હાર્દિકે કહ્યું હતું કે સૌથી મોટો સવાલ એ છે કે અનામત લાગુ કરવાની ફોર્મ્યુલા કેવી છે અને ક્યારે લાગુ થાય છે તેના પર સૌથી મોટી શંકા છે.
હાર્દિકે કહ્યું હતું સરકારે 10 ટકા સવર્ણ અનામત જાહેર તો કરી દીધી છે પરંતુ હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે આ અનામત ક્યાં અને કેવી રીતે લાગુ પડશે. શું આ અનામત ક્યાંક માત્ર કેન્દ્ર સ્તરે અથવા તો કેન્દ્રીય વિભાગોમાં લાગુ નહીં પડે ને?
હાર્દિકે કહ્યું હતું કે જો 50 ટકા ઉપર અનામત અપાતી જ હતી તો પછી અત્યાર સુધી શા માટે અમને આટલાં હેરાન કરવામાં આવ્યાં. આ નિર્ણય અગાઉ લેવાઈ ગયો હોત તો ઘણું સારું હતું. જો EBC લાગુ થશે તો હું મારું આંદોલન પૂર્ણ કરી દઈશ.