ગુજરાતમાં એક વખત ફરીથી કોરોના વાયરસના નવા કેસોએ સરકાર અને પ્રજાને ચિંતામાં નાંખ્યા છે. એક સમયે મોતનો તાંડવ કરનાર કોરોના ફરીથી માથું ઉચકી રહ્યું છે. તેવામાં સાડા ત્રણ મહિના પછી બનાસકાંઠમાં કેસ નોંધાયો છે.
થરાદના ખોરડા ગામે 11 વર્ષીય કિશોરને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા જ આરોગ્ય વિભાગે તેના સંપર્કમાં આવેલા લોકોના ટેસ્ટ શરૂ કર્યા છે.
બનાસકાંઠા જિલ્લામાં 5 ઓગસ્ટ પછી એક પણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા નહતો. જોકે, હવે 11 વર્ષીય કિશોરને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા જ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. થરાદના ખોરડા ગામેથી 25 જેટલા એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં એક 11 વર્ષિય કિશોરનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે.
આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર આ કિશોરને શરદી-ખાંસી અને તાવ જેવાં લક્ષણો ન હોવા છતાં પણ રૂટિન ટેસ્ટ કરતાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી આરોગ્ય વિભાગે તેની ટ્રાવેલ્સ હિસ્ટ્રી ચકાસી હતી. જોકે, તે પાછલા 14 દિવસ દરમિયાન તેને બહાર નો કોઈ જ પ્રવાસ કર્યો નહતો. જેથી આરોગ્ય વિભાગે તેના સંપર્કમાં આવેલા લોકોના એન્ટીજન ટેસ્ટ શરૂ કર્યા છે.