અમદાવાદમાં અષાઢી બીજને દિવસે ભગવાન જગન્નાથની 142મી રથયાત્રાની સંપૂર્ણ તૈયારી થઈ ગઈ છે. ત્યાગે ગત શનિવારે ભગવાનના મોસાળમાં વાજતે ગાજતે મામેરું પણ ભરવામાં આવ્યું હતું. આ વર્ષોથી ચાલી આવતી ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈ આ વર્ષે હવે મામેરાને લઈ વિવાદ થયો છે. દર વર્ષે સરસપુરના રણછોડરાય મંદિરમાં લોકો નોંધણી કરાવી મામેરાના યજમાન બને છે. જેમનો નંબર આવે ત્યારે જ તે યજમાન મામેરું ભરે છે.
હવે સરસપુરમાં ભલા ભગતની પોળમાં આવેલા રણછોડરાય મંદિરેથી સાધુ-સંતો દ્વારા પણ મામેરું ભરાય તેવી શરૂઆત કરવામાં આવશે. શહેરમાં આગામી તા.4થી જુલાઈએ ભગવાન, ભાઈ બલરામ અને બહેમ સુભદ્રા સાથે નગર યાત્રાએ નીકળવાની હોઈ તે પૂર્વે ભગવાનના મોસાળા સરસપુર વર્ષોની પરંપરા મુજબ નોધાયેલા યજમાને રંગેચંગે મામેરું ભર્યું હતું. ત્યારે હવે નાથના મામેરા આવતા વર્ષે સંતો દ્વારા અને યજમાન દ્વારા પણ થશે.
સરસપુરમાં ભલા ભગતની પોળમાં આવેલા રણછોડરાય મંદિરના મહંતે જણાવ્યું હતું કે, વર્ષોથી રથયાત્રા આવે છે અને આ ભલા ભગતની જગ્યાએ રથયાત્રામાં આવતા સાધુ સંતોને અહીંયા જમાડવામાં આવે છે. હવે સરસપુર ગામની અને સાધુ સંતોની ઈચ્છા એવી છે કે, ભલા ભગતની જગ્યામાં સાધુ સંતો તરફથી પણ મામેરું કરવામાં આવે. સરસપુરના રણછોડરાય મંદિરના ટ્રસ્ટ અને વાસણશેરીમાં આવેલા મંદિર વચ્ચે વિવાદમાં આવતા વર્ષે બે મામેરાં થાય તેવી શક્યતા છે.