શહેરમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જો કે, તાજેતરમાં જ એક શાકભાજી વેચનારને કોરોના પોઝિટિવ આવતા તંત્ર હરકતમાં આવી ગયું છે. ત્યારે એએમસી દ્વારા તમામ લોકોને શાકભાજી કઈ રીતે ખરીદવી તે તમામ બાબતની સલાહ આપવામાં આવી રહી છે. નાગરિકોને પણ દુકાનો અને લારીવાળા પાસે ખરીદી કરવા જતા પહેલા માસ્ક, સેનિટાઈઝર સહિતની સેફ્ટી રાખવાની સલાહ આપવામાં આવી રહી છે.
મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ જણાવ્યું છે કે, “સફાઈ કામદારો, શાકભાજીવાળા, કરિયાણાની દુકાનવાળાના કારણે વધુ લોકોને ચેપ લાગી શકે છે. પાછલા બે દિવસમાં મોટી સંખ્યામાં શહેરીજનોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે. જ્યારે શંકાસ્પદ લાગતા લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં શાકભાજીવાળા અને કરિયાણાનું વેચાણ કરતા લોકો પોઝિટિવ આવ્યા છે.”
વિજય નેહરાએ જણાવ્યું કે, “જો તમે શાકભાજી ખરીદવા જાવ ત્યારે તમારે માસ્ક પહેરવું જોઈએ અને ફેરિયાએ માસ્ક પહેર્યું હોય તે પણ જરુરી છે. આ સાથે સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ ધ્યાન રાખવું જરુરી છે. આ સાથે ફેરિયાઓને પણ જો તેઓની તબિયત સારી ના હોય તો વેચાણ બહાર માટે જવાનું ટાળવું જોઈએ. આ લોકોએ AMCના હેલ્પલાઈન નંબર 104 નંબર પર સંપર્ક કરી શકે છે.