છેલ્લા કેટલાક દિવસથી મોડી રાત્રે ચ્હા પીવાનું મન થાય ત્યારે અમે એસ.જી હાઇ વે પર આવેલા ખેતલા આપાના સ્ટોલ પર જઇએ. ખેતલા આપાના સ્ટોલ પર અડધા રાતે દીવાળી જેવો માહોલ હોય છે. 2014માં મોદીએ જ્યાં ચાય પે ચર્ચા કરી હતી તેને અડીને આવેલી જગા પર ખેતલા આપાના સ્ટોલ પર હકડેઠઠ ભીડ જામે છે.
આજે મોદીજીના બધા જ ચેલકાં 182 વિધાનસભા બેઠક પર ચ્હાનો સ્ટોલ ખોલી મન કી બાત સાંભળશે. આ સમાચાર સાંભળીને મને થયું કે, હું ખેતલા આપાના સ્ટોલ પર થતી ચાય પે ચર્ચા સાંભળવા જાઉં. અમદાવાદમાં 11 વાગ્યા પછી બધા ગલ્લા અને દુકાનો બંધ થઇ જાય છે. પણ ગુજરાતમાં ખૂલેલા નવા સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ જેવા ખેતલા આપાના ટી સ્ટોલે મેક ઇન ઇન્ડિયાના અને સ્ટાર્ટ અપના સપનાને સાકાર કર્યું હોય એમ લાગે છે. કારણ કે ખેતલા આપા પર ચ્હા બનાવનારાનો પગાર વીસ હજાર છે.
દૂધ લાવનારાને ટ્રાન્સપોર્ટેશનના પૈસા મળે છે. દૂધવાળાને રોજગાર, તબેલાવાળાંને રોજગાર, ચ્હાના કપ ધોવા વાળાને રોજગાર ….બાપ રે એન્જિનિયરિંગ કે એમબીએ ન કર્યું હોય કે ગ્રેજ્યુએટને પણ ન મળે એવો રોજગાર અહીં મળે છે. ચ્હા બનાવવાની મોદીની પ્રેરણાથી મજબુત થયેલા ખેતલા આપાનું ટર્નઓવર દરેકને આકર્ષે એવું છે. કોઇ સમજે કે ન સમજે એક ચ્હવાળો સમજી ગયો અને લોકોને કાચના કપમાં જાદુઇ ચ્હા પીવડાવતો ખેતલો આપો ચાંદીના પ્યાલામાં ચ્હા પીતો થઇ ગયો.
આ રિપોર્ટ કદાચ મોદીજી સુધી પહોંચ્યો લાગે છે. એટલે ખેતલા આપા જેવા સ્ટોલ પર લોકો રાજકપૂરની ફિલ્મના ગીતની માફક વાત કરતાં કરતાં સાંભળવા મળે છે. આ ગીત હતું દિલ કી બાત સુને દિલવાલા…સીધી સી બાત ન મિર્ચી મસાલા…કહતે રહેગા કહનેવાલા…જેવો ઘાટ હોય છે. અહીં બેસીને લોકો પોતાના મનની વાત કહે છે. કોણ ચૂંટણી જીતશે, કેવી રીતે જીતશે, કોણ કેવી રીતે અને શા માટે હારશે એની સીધીને સટ વાત કરે છે. અહીં બધા મિર્ચ મસાલા વિના વાત કરે છે. મોદીની પર્સનલ ભાજપાઇ આઇ.બી ટીમે આ રિપોર્ટ સાહેબને પહોંચાડ્યો હશે. અધૂરામાં પૂરૂ અમીત શાહે આપેલા ઉપનામવાળા શાહજાદા રાહુલ ગાંધી પણ તેમને થોડું થોડું અનુસરે છે.
મોદીને લાગ્યું કે ગુજરાતમાં આવતા પહેલા દિલકી બાતને મન કી બાતની રીતે રજૂ કરી દઇએ તો…એટલે એમણે આજે 182 વિધાનસભાની સીટ પર મોદી આપાના સ્ટોલ ખોલી દીધા. મોદીથી પ્રેરણા લઇ ખેતલા આપા થતા હોય તો 182જગ્યાએ મોદી આપાના કાર્યકરો કેમ કામ ન કરે, અહીં બધા પ્રભારીઓ, ઉમેદવારો અને નેતાઓએ પોતાની ફોજ લઇને બેસી જવાનું છે. મોદીના દિલથી નીકલતા વાત મનની વાત સાંભળવાની છે અને સંભળાવવાની પણ છે. એમાંથી જો કાર્યકરો પ્રેરણા લેશે તો લોકોને રોજગાર મળશે. રાહુલ ગાંધી કહે છે કે ગુજરાતમાં લોકો બેરોજગાર છે, તો બોલો એમને આ પ્રેરણાથી રોજગાર મળશે કે નહીં, ચ્હા પીતા પીતા ટોળું કહેશે જ કે રોજગાર મળશે. પણ સત્તામાં 22 વર્ષ રહ્યા પછી, સત્તરવાર સ્ટાર્ચ કરેલી ખાદી પર ક્રીઝ ન પડે એ માટે દિલ કી બાત સૂનને કે લિયે નેતાઓએ એ.સી વગર મન કી બાત સાંભળવા બેસવું તો પડશે અને કહેવું પડશે કે, મોદીની પ્રેરણાથી જાદુઇ ચ્હા બનાવી ખેતલા આપા ચાંદીના પ્યાલામાં ચ્હા પીતો થઇ ગયો!.. જોયો?..મોદીજીનો જાદુ?
ગુજરાતમાં ચૂંટણી છે એટલે પોતાને ફકીર ગણાવતા નરેન્દ્ર મોદીજી મનની વાત કરતી વખતે યોજનાના નામે 5000..કરોડ, પંદર હજાર કરોડ…લખતા થાકી જવાય એવી જાહેરાતો કરશે. સદ્ભાવના મિશન વખતે જાહેરાતો કરી હતી કે, ફલાણાં જિલ્લાના આટલા હજાર કરોડ અને ઢીકણાં જિલ્લાના આટલા હજાર કરોડ,…આ કરોડ તો ન આવ્યા પણ સાલાં રોડ પણ ન આવ્યા. પણ એક વાત છે કે, ગામને જમાડવું હોય તો કોળાનું શાક બનાવવું પડે, એટલે હિન્દીમાં કોળાને કદ્દુ કહેવાય છે….એટલે મોદીજી આવતા પહેલા દિલથી મિર્ચ મસાલાવાળી મનની વાત કરશે અને પછી તો ફીર ચુનાવ પ્રચાર મેં કદ્દુ કટેગા ઔર સબ મેં બટેગા. ખાયેગા થોડા અદાણી, થોડા અંબાણી, બાકી બચેગા તો ખાયેગા ખદ્દડવાલે કા બેટા…આજ છે..
સીધી સી બાત ન મીર્ચ મસાલા
દિલ કી બાત સુને દિલવાલા
ભાર્ગવ પરીખ દ્વારા-