ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ આજે સંધપ્રદેશ સિલવાસામાં હતા અને તેમણે જાહેર સભાને સંબોધન કર્યું હતું. અમિત શાહે સિલવાસાની જાહેરસભા મારફત લોકસભાની ચૂંટણીના પ્રચારનો પ્રારંભ તો કર્યો પણ સાથે સાથે તેમણે દાદરાનગર હવેલી અને દિવ-દમણના ઉમેદવારોના નામની પણ જાહેરાત કરી દીધી હતી. આ જાહેરાતને લોકોએ તાળીઓનો ગડગડાટથી વધાવી લીધી હતી.
ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે જાહેરસભાને સંબોધતા કહ્યું કે પાછલા કેટલાક વખતમાં સંઘપ્રદેશમાં ભાજપનો એકેએક કાર્યકર લોકોના ઘરે પહોંચ્યો છે. ગેસના બાટલાની સબસીડી યોજનાના લાભાર્થીઓનો સંપર્ક કાર્યક્રમ હોય કે બુદ્વિજીવી સંમેલન હોય, ભાજપના કાર્યકરે લોક સંપર્ક જાળવી રાખ્યો છે અને આ લોકસંપર્કને વધુ મજબૂત કરવા માટે લોકસભાની ચૂંટણીનો વધુ એક અવસર આવી રહ્યો છે.
અમિત શાહે આગળ સંબોધનમાં કહ્યું કે સંઘપ્રદેશની હવા મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પણ અસર કરે છે. સંઘપ્રદેશ હવા બાંધવાનું કામ કરે છે. હવે જ્યાં સુધી સંઘપ્રદેશની પટેલ બેલડીનો વિજય જુલુસ નહીં નીકળ ત્યાં સુધી શાંતિથી બેસીશું નહીં. અમિત શાહે ત્યાર બાદ સભામાં હાજર લોકો પાસેથી વિજયનો સંકલ્પ કર્યો હતો અને લોકોએ તેનો પ્રતિભાવ પણ આપ્યો હતો.
અમિત શાહના ભાષણ પરથી સ્પષ્ટ થાય છે કે દાદાર નગર હવેલીમાં નટુભાઈ પટેલ અને દિવ-દમણની સીટ પર લલ્લુભાઈ પટેલની ટીકીટ ફાઈનલ કરી દેવામાં આવી છે. અમિત શાહે બન્ને પટેલ બેલડીને આગામી ચૂંટણીમાં જીતાડવાનો સંકલ્પ કરાવ્યો તો આના પરથી દિવા જેવું સ્પષ્ટ થાય છે કે નટુભાઈ પટેલ અને લલ્લુભાઈ પટેલ 2019ની લોકસભા માટે રિપીટ કરી દેવામાં આવ્યા છે.
ભાજપ હવે નોરિપીટેશનના બદલે સેફ ગેમ રમવા માંગી રહ્યું છે અને નટુભાઈ પટેલ અને લલ્લુભાઈ પટેલને રિપીટ કરવાની જાહેરાત પરથી માલમ પડી રહ્યું છે.